સરકારી યોજનાઓનો લાભ ઉઠાવવા માટે આધાર કાર્ડને ફરજિયાતપણે લિંક કરવા માટેની સમય મર્યાદા ૩૧મી ડિસેમ્બરથી વધારીને ૩૧મી માર્ચ ૨૦૧૮ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં આ અંગેની માહિતી આપી હતી. એડવોકેટ જનરલ કેકે વેણુગોપાલે કહ્યું હતું કે, દેશની સૌથી મોટી અદાલતમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર એવા લોકોને નિસહાય કરવા કોઇ પગલા લેશે નહીં. જેમની પાસે હજુ સુધી આધાર કાર્ડ નથી. તેમણે સામાજિક કલ્યાણ યોજનાઓનો લાભ લેવાથી ૩૧મી માર્ચ સુધી રોકવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે આ અગાઉ બેંક એકાઉન્ટને ૧૨ આંકડાવાળા યુનિક નંબરથી જોડવાની સમય મર્યાદા ૩૧મી ડિસેમ્બર ૨૦૧૭ કરી હતી પરંતુ હવે આ સમય મર્યાદા વધારીને ૩૧મી માર્ચ કરી દેવામાં આવી છે. મોબાઇલ અને બેંક એકાઉન્ટને આધાર સાથે જોડવાની બાબતને ફરજિયાત કરી દેવામાં આવી છે. મોબાઇલ અને એકાઉન્ટને આધાર સાથે જોડવાને ફરજિયાત કરવા અને તેની બંધારણીય કાયદેસરતાને પડકાર ફેંકીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજી કરનારને આધારને બેંક એકાઉન્ટ અને મોબાઇલ સાથે લિંક કરવાની બાબતને ગેરકાયદે ગણાવી હતી અને કહ્યું હતું કે, આધાર કાર્ડને બેંક એકાઉન્ટ સાથે નહીં જોડવા પર નાગરિક પીએમએલએ હેઠળ અભિયોજન માટે ઉત્તરદાયી થઇ જશે. કેકે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટમાં તર્કદાર દલીલો કરી હતી અને કહ્યું હતું કે, બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ લિંકિંગ પર તેઓ કેન્દ્ર સરકારના નિર્દેશ લીધા બાદ સોમવારના દિવસે વધુ રજૂઆત કરશે. સામાજિક સેવાઓ માટે નવી સમય મર્યાદા એટલા માટે વધારવામાં આવી છે કે, લોકોને કોઇપણ નુકસાન ન થાય. સાથે સાથે તેમના સામાજિક લાભ રોકાય નહીં. સુપ્રીમ કોર્ટમાં આધારને ફરજિયાત કરવા પર સુનાવણી ચાલી રહી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ