રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે વડાપ્રધાન મોદી પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે જણાવ્યું કે, મોદી દરેક ભાષણમાં વિપક્ષને ટોણા મારે છે અને ટીકા કરે છે પરંતુ તેઓ ક્યારેય તેમની સરકારે પાંચ વર્ષમાં શું કર્યું તેનો હિસાબ આપતા નથી.પવારે ઉલ્હાસનગર ખાતે મંગળવારે રાત્રે એનસીપીના ઉમેદવારના પ્રચાર માટે એક જાહેરસભા સંબોધી હતી. કલ્યાણ લોકસભા બેઠક પરથી એનસીપીના ઉમેદવાર બાબાજી પાટીલે ઉમેદવારી નોંધાવી છે. એનસીપી પ્રમુખે રાફેલ સોદા વિવાદ મુદ્દે પણ મોદી પર નિશાન સાધ્યું હતું.મોદી પોતાના તમામ ભાષણમાં એનસીપી અને કોંગ્રેસ પર પ્રહાર કરે છે પરંતુ ભાજપ અને શિવસેનાએ પાંચ વર્ષમાં શું કર્યું તેની માહિતી પૂરી પાડતા નથી, તેમ પવારે જણાવ્યું હતું.વડાપ્રધાન દ્વારા એનસીપીની ટીકા કરવા બદલ પવારે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, મોદીએ પોતાના પરિવારનું શું કર્યું છે તે લોકો જાણે છે અને હવે તેઓ અમારી પારિવારિક બાબતોમાં માથું મારી રહ્યા છે. મોદી જવાહરલાલ નહેરુની ટીકા કરે છે પરંતુ આ જ વડાપ્રધાને દેશ આઝાદ થયો પછી ઉદ્યોગો સ્થાપ્યા હતા. આ ઉપરાંત પવારે જણાવ્યું કે ‘ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનને પરાસ્ત કર્યું હતું અને રાજીવ ગાંધીએ ટેક્નોલોજીમાં ક્રાંતિ આણી હતી. જ્યારે મોદીએ દેશમાં નોટબંધી લાગુ કરીને દેશને બરબાદ કર્યો.રાફેલ મામલે શરદ પવારે જણાવ્યું હતું કે ફ્રાંસ પાસેથી રાફેલ વિમાન ખરીદવાના સોદાથી કોને-કોને લાભ થયો તે તપાસવાની દરકાર મોદીએ લીધી નથી. અમારી સરકાર રચાશે ત્યારે આ સોદાની તપાસ કરી તેની વિગતો જાહેર કરાશે.