હરિયાણાની પંચકુલાની જિલ્લા અદાલતે શુક્રવારના દિવસે ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમિત રામ રહીમની વિશ્વાસપાત્ર હનીપ્રીત અને તેની સાથી સુખદીપ કૌરની જ્યુડિશિયલ કસ્ટડીની અવધિને ૨૩મી ઓક્ટોબર સુધી વધારી દીધી હતી. કોર્ટે આ ચુકાદા બાદ બંનેને અંબાલા જેલ ભેગી કરી દીધી હતી. સુનાવણી દરમિયાન પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે, હનીપ્રીત પાસેથી એક મોબાઇલ મળી આવ્યો છે પરંતુ કોઇ મેસેજ હાથ લાગ્યા નથી. આ અગાઉ સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હનીપ્રીતની પંચકુલાની જિલ્લા અદાલતમાં રજૂ કરવામાં આવી હતી. હનીપ્રીતના ત્રણ દિવસની રિમાન્ડની અવધિ આજે પૂર્ણ થઇ રહી હતી જેથી તેને પંચકુલા કોર્ટમાં રજૂ કરાઈ હતી. મિડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, હનીપ્રીતે અનેક બાબતો પહેલાથી જ કબૂલી લીધી છે. ખાસ તપાસ ટીમ હવે ખાસ અદાલતમાં દાવો કરી ચુકી છે કે, હનીપ્રીતે પંચકુલા અને આસપાસના વિસ્તારોમાં વ્યાપક હિંસા ભડકાવવા માટે કાવતરુ ઘડી કાઢ્યા હોવાની કબુલાત કરી લીધી છે. આ હિંસામાં ૩૬થી વધુ લોકોના મોત થયા હતા. સમગ્ર મામલામાં ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. હનીપ્રીત ઉપર રામ રહીમને દોષિત ઠેરવવામાં આવ્યા બાદ પંચકુલામાં હિંસા ભડકાવવાનો આક્ષેપ છે. ગઇકાલે સીટ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે હનીપ્રીતે હિંસા ભડકાવવા માટે કાવતરુ ઘડ્યુ હોવાની કબુલાત કરી છે. જેમાં ૩૬ લોકોના મોત થયા હતા અને અન્ય અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસ હનીપ્રીતના લેપટોપ અને મોબાઇલ જપ્ત કરવાના પ્રયાસમાં લાગેલી છે. ગુરમિત રામ રહીમની સૌથી વિશ્વાસપાત્ર તરીકે હનીપ્રીતને ગણવામાં આવે છે. હનીપ્રીતની ત્રીજી ઓક્ટોબરના દિવસે જીરકપુર-પટિયાલા રોડથી ધરપકડ કરવામાં આવી હતી. તે છેલ્લા ૩૮ દિવસથી ફરાર હતી. તેને ચોથી ઓક્ટોબરના દિવસે છ દિવસ માટે પોલીસ રિમાન્ડ ઉપર મોકલવામાં આવી હતી. ૨૫મી ઓગષ્ટના દિવસે રામ રહીમને દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ હિસા ભડકી ઉઠી હતી. રામ રહીમને રેપ કેસમાં ૨૦ વર્ષની જેલની સજા કરવામાં આવ્યા બાદ હાલ તે જેલની હવા ખાઇ રહ્યો છે. પોલીસે ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમિત રામ રહીમના મામલામાં અન્યોની પણ પુછપરછ કરી છે. પોલીસ હનીપ્રીતને લઇને અનેક જગ્યાઓએ પહોંચી હતી અને પુરાવા એકત્રિત કર્યા હતા. એસઆઇટી હનીપ્રીત અને તેની નજીકની સાથી સુખદીપ કૌરને બુધવારના દિવસે ભટિંડાના જંગીરાણા નામના ગામમાં લઇને પહોંચી હતી. ત્યારબાદ પોલીસના હાથે કોઇ પુરાવા લાગ્યા ન હતા. એસઆઈટી રાજસ્થાનના હનુમાનગઢ અને બિકાનેર લઇને પણ પહોંચી હતી. પોલીસની સામે હાલમાં ફરાર રહેલા આદિત્ય ઇંસા અને પવન ઇંસા પર સકંજો જમાવવા માટે પણ પડકાર છે. આદિત્ય ૨૫મી ઓગસ્ટે થયેલી હિંસા બાદથી ફરાર છે. જો ૩૦મી સુધી પોલીસના હાથે નહીં આવે તો તેને ફરાર જાહેર કરી દેવામાં આવશે.
આગળની પોસ્ટ