મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર્સ એન્ડ કેમીકલ્સ લિમીટેડનો ર૦૧૬-૧૭ના વર્ષના ડિવીડન્ડ પેટે રૂ. ૩ર કરોડનો ચેક કંપનીના અધ્યક્ષ અને મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંહની ઉપસ્થિતિમાં મેનેજીંગ ડિરેકટર ડૉ. શ્રી રાજીવકુમાર ગુપ્તાએ અર્પણ કર્યો હતો. GNFCના કર્મયોગીઓએ પણ આ વેળાએ શ્રી વિજયભાઇ રૂપાણીને બનાસકાંઠા-પાટણના પૂર આપત્તિગ્રસ્તોના પૂનર્વસન માટે મુખ્યમંત્રી રાહતનિધિમાં પોતાના એક દિવસના વેતનમાનના કુલ રૂ. ૪૦.પ૧ લાખનો ચેક અર્પણ કર્યો હતો.
અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, ગુજરાત સરકારના આ સાહસ GNFCનું માર્કેટ કેપિટલાઇઝેશન પાછલા ત્રણ જ વર્ષમાં રૂ. ૭૭૭ કરોડથી વધીને રૂ. ૬૩૦૦ કરોડે પહોચ્યુ છે. ૧૯૮રથી GNFCએ એમોનિયા-યુરીયા ખાતરનું ઉત્પાદન અને વેચાણ શરૂ કરીને આગવું સ્થાન મેળવ્યું છે. હવે કંપનીએ બહુવિધ ઉત્પાદન શૃંખલા અન્વયે ફર્ટીલાઇઝર્સ ઉપરાંત ઇલેકટ્રોનીકસ, આઇ.ટી., ટેલિકોમ્યુનિકેશન્સ ક્ષેત્રે પણ પદાપર્ણ કર્યુ છે. મુખ્યમંત્રીશ્રીએ GNFCના ખેડૂતલક્ષી ઉત્કૃષ્ટ ઉત્પાદનોની પ્રસંશા કરી હતી અને ઉત્તરોતર પ્રગતિની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે બનાસકાંઠા-પાટણમાં વરસાદની ત્રાસદીમાંથી પૂનઃપ્રસ્થાપિત થવા મુખ્યમંત્રી રાહતનિધિમાં GNFC કર્મયોગીઓએ આપેલા સ્વૈચ્છિક યોગદાનની પણ સરાહના કરી હતી.