વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત યાત્રાના બીજા દિવસે જુદા જુદા કાર્યક્રમોમાં વ્યસ્ત રહ્યા હતા. ભરુચમાં નર્મદા નદીના કિનારે બેરાજ બનાવવા માટેની આધારશીલા તેઓએ મુકી હતી. આ ઉપરાંત મોદીએ સુરતથી જયનગર (બિહાર) વચ્ચે અંત્યોદય એક્સપ્રેસને લીલીઝંડી આપી હતી. મોદીએ કહ્યું હતું કે, આ અંત્યોદય એક્સપ્રેસમાં કોઇ રિઝર્વેશન રહેશે નહીં. આનાથી ગરીબોને લાભ થશે. છેલ્લી ઘડીએ પણ આ ટ્રેનથી લોકો યાત્રા કરી શકશે. મોદીએ ઉમેર્યું હતું કે, મુંબઈથી ગોરખપુર વચ્ચે પ્રથમ અંત્યોદય એક્સપ્રેસ શરૂ કરવામાં આવી હતી. જે લોકો નરેન્દ્ર મોદીના લોકસભા મતવિસ્તારમાં જવા ઇચ્છુક છે તે લોકો પણ સરળતાથી જઇ શકશે. હવે તેમને વારાણસી જવાનું સરળ થઇ જશે. તેઓ મહામના એક્સપ્રેસથી યાત્રા કરી શકે છે. લાંબા અંતરની ટ્રેનો ઉપર મોદીએ ભાર મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમે દિનદયાળ ઉપાધ્યાયના સપનાઓને સાકાર કરવાની દિશામાં આગળ વધવાની જરૂર છે. અહીં પણ મોદીએ કોંગ્રેસ સરકાર ઉપર પ્રહારો કરવાની તક જવા દીધી ન હતી. તેમણે કહ્યું હતું કે, યુરિયામાં નિમકોટિંગ કરવાથી ખેડૂતોને ફાયદો થયો છે અને યુરિયાની ચોરી રોકાઈ ગઈ છે. અગાઉની સરકારે ૩૦ ટકા યુરિયામાં નિમકોટિંગ કરવાની વ્યવસ્થા કરી હતી. અમે ૧૦૦ ટકા વ્યવસ્થા કરી ચુક્યા છે. આનો બીજો ઉપયોગ બંધ થઇ ગયો છે. તેમણે દાવા સાથે કહ્યું હતું કે, માત્ર ભરુચમાં જ ખેડૂતોને ૪૦ કરોડથી વધુની આવક થઇ ચુકી છે. દેશમાં લુટ ચલાવનાર લોકો હવે મોદીની સામે કાવાદાવા રચી રહ્યા છે પરંતુ ઇમાનદારીને તેઓ કોઇ કિંમતે હરાવી શકશે નહીં. મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથે તેમના કહેવા ઉપર પશુ આરોગ્ય મેળા અંગે માહિતી મેળવવા માટે એક ટીમ ગુજરાતમાં મોકલી ચુક્યા છે. ત્યારબાદ તેઓએ વારાણસીમાં પણ પ્રથમ વખત પશુ આરોગ્ય મેળાનું આયોજન કર્યું છે.