આજરોજ ગુજરાત ગૌરવ યાત્રાના ચોથા દિવસે સૌરાષ્ટ્ર પંથકમાં ઉના, રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણામાં જનતાજનાર્દનનો અભૂતપૂર્વ પ્રેમ અને લાગણી સંપાદન કરીને યાત્રા આગળ ધપી રહી છે.
આજરોજ રાજુલા ખાતે માર્કેટ યાર્ડમાં યોજાયેલ જાહેરસભામાં ઉપસ્થિત ખેડૂતો તથા નગરજનોને સંબોધતાં પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતુ કે, ભાજપાના શાસનમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા થયા છે, કોંગ્રેસે તો ખેડૂતોનું લોહી ચૂસવાનું જ કામ કર્યુ છે. કોંગ્રેસના શાસનમાં ખેડૂતોને ૧૮ ટકાના વ્યાજે ધિરાણ મળતું હતું. ખેડૂતોને સિંચાઇનું પુરતું પાણી પણ મળતું ન હતું. વીજળી તો હતી જ નહી. ખાતર બારોબાર વેચી દઇને કોંગ્રેસે કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હતો. ખેડૂતોના ઉભા પાક બાળી નાખનારી કોંગ્રેસ આજે કયા મોઢે ખેડૂતોની વાત કરી રહી છે? ખેડૂતોને પૂરતું પાણી, ગુણવત્તાયુક્ત વીજળી, સમયસર ખાતર એ ભાજપાની દેન છે. આજે ૧ ટકાના દરે ખેડૂતોને ધિરાણ પ્રાપ્ત છે. મગફળી તથા કપાસના પોષણક્ષમ ભાવ આપવા ભાજપા સરકાર પ્રતિબધ્ધ છે.
૬૦-૬૦ વર્ષથી દેશમાં શાસન કરનાર જે કોંગ્રેસ દેશ તો શું – અમેઠી અને રાયબરેલીનો વિકાસ નથી કરી શકી, તે ગુજરાતમાં વિકાસની વાતો કરીને પ્રજાને ગેરમાર્ગે દોરવાનો નિરર્થક પ્રયાસ કરી રહી છે તેમ પ્રદેશ પ્રમુખશ્રીએ જણાવ્યું હતું.
ગઇકાલે કોડીનાર તથા ઉના ખાતે અનેક સ્થળોએ પ્રજાજનોને સંબોધતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ‘અફઝલ હન શરમીંદા હૈ, તેરે કાતિલ જીન્દા હૈ’ ના નારા લગાવનારા દેશવિરોધી તત્વોની સભામાં જઇને પ્રોત્સાહન આપનાર રાહુલ ગાંધી ગુજરાતની જનતાને જવાબ આપે તેમ જણાવી દેશની વાત જવા દો, પરંતુ રાયબરેલી તથા અમેઠીનો પણ જેઓ વિકાસ નથી કરી શક્યા તેઓ ગુજરાતમાં આવીને વિકાસના નામે પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યો છે. દેશના કોંગ્રેસ શાસિત કોઇ પણ રાજ્યની સાથે ગુજરાતની તુલના કરીને વિકાસને માટે ચર્ચા કરવા ખુલ્લો પડકાર પણ મુખ્યમંત્રીશ્રીએ શ્રી રાહુલ ગાંધીને કર્યો હતો.