હું ગુજરાતનો નાથ નથી પણ પ્રજાનો સેવક છું. હું C.M. – કોમનમેન ગઇકાલે હતો, આજે છું અને આવતીકાલે પણ રહેવાનો છું. તેમ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે ઠાસરા ખાતે ગૌરવયાત્રા પ્રસંગે યોજાયેલી જનસભાને સંબોધતા જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ પ્રજા અને સરકાર વચ્ચે એક પરિવારનો નાતો હોય છે તેમ જણાવી કહયું હતું કે સત્તા એ સેવાનું સાધન છે એ માણવાનું નથી. ગરીબ, દલિતો, પીડિતો, શોષિતો, વંચિતો-આદિવાસી સૌના વિકાસ માટે સરકાર પ્રજાના સેવક તરીકે કામ કરી રહી છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં સૌને ઘરનું ઘર મળે – માથે છત હોય એ આપણી સરકારનો નિર્ધાર છે. આજે ગરીબોને સસ્તી અને ઉચ્ચ ગુણવત્તાવાળી જીવન રક્ષક દવાઓ મળી રહે તે માટે રાજયભરમાં જેનેરીક દવાના સ્ટોર્સ શરૂ કરવામાં આવ્યા છે. ગરીબ અને મજૂર વર્ગ માટે અન્નપૂર્ણા યોજના હેઠળ રૂ.૧૦/- માં પૌષ્ટિક ભોજન આપવામાં આવી રહયું છે. રાજયનો કોઇ ગરીબ ભૂખ્યો ન સુવે તે માટે રાહતદરે ઘઉં, ચોખા જેવા અનાજનું વિતરણ કરવામાં આવે છે. ખેડૂતોને સિંચાઇના પાણી, વિજળીની સુવિધા સાથે તેમના ખેત ઉત્પાદનોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. જેથી ખેડૂતોને આર્થિક નુકશાન ન થાય. યુવાનોની આ સરકારે રોજગારી અને ઉચ્ચ શિક્ષણ માટેની યોજનાઓ અમલમાં મુકી છે. કોલેજના વિદ્યાર્થીઓને ટોકન કિંમતે ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું છે. તો ૮૦ હજાર બેરોજગારોને સરકારી નોકરી અને ૧૦ લાખ જેટલા યુવાનોને મેન્યુફેકચરીંગ અને સર્વિસ એકમોમાં રોજગાર આપીને ‘‘ હર હાથ કો કામ’’ સુત્રને સરકારે સાર્થક કર્યું છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કોંગ્રેસની ઝાટકણી કાઢતા જણાવ્યું કે, એક સમયે કોંગ્રેસે લોકોને ઘર અપાવવા ફોર્મ ભરાવ્યા હતા. આજે પાંચ વર્ષ પછી પણ એક વ્યકિતને ઘરનું ઘર આપ્યું નથી. બધા ફોર્મ ગટરમાં નાંખી લોકોને છેતરવાનું કામ કર્યુ છે. આવા લોકોથી પ્રજા સાવધાન રહે તેમ જણાવતાં ઉમેર્યું હતું કે આ વખતે પણ કોંગ્રેસે યુવાનોને રોજગારીની લાલચ આપી છે. જયારે જયારે કોંગ્રેસ સત્તા પર આવી છે ત્યારે ત્યારે બેકારી, ગરીબી અને ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો છે. દેશના વિકાસને અટકાવ્યો છે. કોંગ્રેસે વિકાસની કદી કલ્પના જ કરી નથી.
ગુજરાતનો વિકાસ હરણફાળ સમાન છે કારણ કે વિકાસ એ અમારો મિજાજ છે તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ કહયું હતું કે ‘‘ સૌનો સાથ અને સૌનો વિકાસ’’ મંત્ર લઇને ગુજરાતની ગૌરવયાત્રા લઇને નિકળ્યા છીએ.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે પારદર્શક અને સંવેદનશીલ રાજય સરકારે પ્રજાની લાગણી અને માંગણી મુજબના વિકાસ કાર્યો ઝડપ થી નિર્ણય લઇને પૂરા કર્યા છે. નવા બનેલા તાલુકાઓમાં પ્રજાકીય સવલતો ઉપલબ્ધ થાય તે માટે કામોની મંજૂરી આપી ત્વરીત રીતે પૂરા કર્યા છે. ઠાસરા તાલુકામાં રૂ.૧૫ કરોડ થી વધુના ખર્ચે ગ્રામીણ રસ્તાઓ મંજૂર કર્યા છે. ગામડે ગામડે અને રાજયના દરેક શહેરી વિસ્તારોમાં પાયાની સગવડોની આપૂર્તિ કરવામાં આવી છે. જેને કારણે ગૌરવયાત્રાને પ્રજાનો ઠેર ઠેર આવકાર અને ભરપૂર પ્રેમ મળી રહયો છે. શ્રી નીતિનભાઇ પટેલે હાલમાં ક્રૂડ ઓઇલના ઘટેલા ભાવના કારણે પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવી રહયો છે. તે સંદર્ભમાં રાજય સરકાર પણ પેટ્રોલ અને ડિઝલમાં સહાનુંભૂતિપૂર્વક પ્રજાહિતમાં નિર્ણય લેશે તેમ તેમણે જણાવ્યું હતું.
ઠાસરાની જાહેરસભામાં ગૌરવયાત્રાના કન્વીનર શ્રી ગોરધનભાઇ ઝડફિયા અને ઠાસરાના ધારાસભ્ય તેમજ અમૂલ ડેરીના ચેરમેનશ્રી રામસિંહભાઇ પરમાર તથા સાંસદ શ્રી દેવુંસિંહ ચૌહાણે પ્રાસંગિક ઉદ્દબોધનો કર્યા હતા.
આ પ્રસંગે શ્રી શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ , પૂર્વ ધારાસભ્ય શ્રી ભવાનસિંહ, નયનાબેન સહિતના હોદ્દેદારો , કાર્યકર્તાઓ અને ઠાસરા તાલુકાના લોકો ઉપસ્થિત રહયા હતા.