મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના બળવાખોર નેતા નારાયણ રાણેએ અનેક પ્રકારની અટકળો વચ્ચે આજે પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી દીધી હતી. રાણેએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, તેઓએ નવી પાર્ટી બનાવવાનો નિર્ણય લઇ લીધો છે. આ પાર્ટીનું નામ મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષ રહેશે. નારાયણ રાણેની આ પાર્ટી એનડીએનો હિસ્સો રહેશે જે થોડાક દિવસ પહેલા જ સ્પષ્ટ થઇ ગયું છે. આ રીતે નારાયણ રાણે ભાજપમાં સામેલ ન થઇને ભાજપને બહારથી સમર્થન આપશે. નારાયણ રાણેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જુઠ્ઠાણાના આક્ષેપ કરનાર લોકોની પણ જોરદાર ઝાટકણી કાઢી હતી. તાજેતરમાં જ કોંગ્રેસ પાર્ટી અને વિધાન પરિષદના સભ્યપદેથી રાજીનામુ આપી દીધા બાદ એવી અટકળો ચાલી રહી હતી કે, રાણે ભાજપમાં સામેલ થઇ જશે. કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધા બાદ સોમવારના દિવસે રાણે દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને મળ્યા હતા પરંતુ આ બેઠકમાં રાણેના પાર્ટીમાં સમાવેશના સંદર્ભમાં કોઇ નિર્ણય લઇ શકાયો ન હતો. ત્યારબાદ મંગળવારના દિવસે ભાજપ અને સંઘના નેતાઓએ પારસ્પરિક બેઠક બાદ આ ફોર્મ્યુલાને અંતિમરુપ આપવાનો નિર્ણય કરાયો હતો. આ ફોર્મ્યુલા નારાયણ રાણેના જુના રાજકીય ઇતિહાસને ધ્યાનમાં લઇને અપનાવવામાં આવી છે. ૨૦૧૯ની ચૂંટણીમાં રાણે અને તેમના પુત્રોને શિવસેનાની સામે ઉપયોગ કરવાની ઇચ્છાથી ભાજપ તેમને છોડવા માટે ઇચ્છુક ન હતો. બીજી તરફ રાણે અને તેમના પુત્રના ઉગ્ર અને મહત્વકાંક્ષી વલણને ધ્યાનમાં લઇને ભાજપે હાલમાં પાર્ટીમાં કોઇ નવી મુસીબત ઉભી નહીં કરવાની તૈયારી કરી છે જેથી નારાયણ રાણેને હાલમાં ભાજપમાં સામેલ નહીં કરવાનો નિર્ણય કરાયો છે. આગામી દિવસોમાં નારાયણ રાણે દ્વારા કોઇ અન્ય મોટી જાહેરાતો પણ કરવામાં આવી શકે છે.
આગળની પોસ્ટ