જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લામાં અંકુશ રેખા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર અથડામણ થઇ હોવાના અહેવાલ મળ્યા છે. સામ સામે ગોળીબારની રમઝટના કારણે અંકુશ રેખા ઉપર તંગ સ્થિતિ સર્જાઈ ગઈ હતી. પોલીસે માહિતી આપતા કહ્યું છે કે, પાકિસ્તાને દ્વિપક્ષીય યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ ભારતીય સેનાએ પણ જોરદાર જવાબી કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં કોઇપણ પક્ષે ખુવારી થઇ નથી પરંતુ તોપમારા અને ગોળીબારના કારણે તંગસ્થિતિ સર્જાઈ ગઈ હતી. મળેલી માહિતી મુજબ પાકિસ્તાની સેનાએ ગઇકાલે સાંજથી જ પૂંચ જિલ્લાના દિગવાર વિસ્તારમાં અંકુશરેખા પર ભારતીય ચોકીઓ ઉપર તોપમારો અને ગોળીબાર કર્યો હતો. પોલીસ સૂત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો જોરદાર જવાબ આપ્યો હતો. આશરે ૨૫ મિનીટ સુધી સામ સામે ગોળીબારની રમઝટ જામી હતી. હાલના મહિનામાં પાકિસ્તાની સેનાએ અંકુશરેખા ઉપર યુદ્ધવિરામનો ભંગ કરીને અનેક વખત ગોળીબાર કર્યો છે જેના કારણે સ્થિતિ તંગ રહી છે. આમા ભારતીય પક્ષે ચારથી વધુ જવાનો શહીદ પણ થયા છે. ગયા વર્ષે પાકિસ્તાન કબજા હેઠલના કાશમીરમાં ભારતે સર્જિકલ હુમલા કર્યા બાદથી અંકુશરેખા ઉપર યુદ્ધવિરામનો ભંગ પાકિસ્તાન દ્વારા સતત કરાઈ રહ્યો છે. સાથેસાથે ઘુસણખોરીમાં પણ વધારો થયો છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ