અસ્પૃશ્યોનાં હિત શત્રુ
બંધારણની કલમ ૨૯૫ (અ) દ્વારા અસ્પૃશ્યોને અનામત જગ્યાઓ પર ૧૦ વર્ષની મર્યાદા રાખવામાં આવી છે. આ મર્યાદા વિરુદ્ધ પોતાને અસ્પૃશ્ય વર્ગોના પ્રતિનિધિ કહેવડાવનારાઓએ મોટો ગજબ કર્યો છે, તેઓ ખૂબ ઊકળી ઊકળીને તીખી ભાષામાં અને લાગણી પ્રધાન બનીને બોલ્યાં છે તેમને ઉદ્દેશીને મારે બે શબ્દો કહેવા જેવું લાગે છે. તેમને માટે એક વાત સ્પષ્ટપણે કહેવી પડશે અને તે એ કે અસ્પૃશ્યોના હક્કો પર મર્યાદા બાંધવાનું અને તે હક્કોને પૂરા કરવા પર વિરોધ કરવા માટે તમે પોતે જ બોલનારા કારણભૂત છો.
તમે કૉંગ્રેસના હિંદુ મતોથી અસ્પૃશ્યોના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવ્યા છો. તમારા કારણે અસ્પૃશ્યોના સારા હિતચિંતકો કાયદા મંડળમાં ચૂંટાઈ આવ્યા નથી. અસ્પૃશ્યોના હિતની દૃષ્ટિએ અત્યંત અનિષ્ટ એવી આ વાત થઈ. કમ સે કમ તમારે તો અસ્પૃશ્યોના પ્રતિનિધિ તરીકે અને બંધારણ સભામાં સભ્ય તરીકે જાગતા રહેવું જોઈતું હતું. પરંતુ તમે તો અસ્પૃશ્યોના હક્કોનો વિરોધ કરવાનું કામ કર્યું છે. ચોરી છુપીથી પ્રતિનિધિ મંડળો મોકલીને અને અસ્પૃશ્યોના કલ્યાણ માટે બંધારણમાં મેં જે જે સૂચનો કર્યા છે તેનો પરોક્ષ રીતે વિરોધ કરીને તમે અસ્પૃશ્યોના હિતોને ભારે નુકસાન કર્યું છે. હશે, એ તો તમારી કરણ જેવું થયું.
(બંધારણ સભામાં તા.૬-૯-૧૯૪૯ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપેલું ભાષણ ‘જનતા’ સાપ્તાહિક તા.૧૦-૯-૧૯૪૯)
સમિતિનાં સભ્ય મારા માટે અશક્ય
આપણાં દેશનું બંધારણ ઘડવાની જવાબદારી મારા માથે આવી એ એક અલૌકિક જ ઘટના ગણાય. ભારતનું બંધારણ તૈયાર કરવા માટે બંધારણ સમિતિ સભા ભરાઈ ત્યારે મારી દશા કેવી હતી તેમની તો તમને જાણ હશે જ. ૧૯૪૬-૪૭ની સાલમાં ચૂંટણીમાં શિડયુલ્ડ કાસ્ટસ ફેડરેશનનો પરાજય થયો હતો. અર્થાત આ પરાજયથી જરા પણ શરમ અનુભવાનું કોઈ કારણ નથી, કારણ કે ચૂંટણી સમયે સારું યે હિંદુસ્તાન રાષ્ટ્ર એક બાજુ હતો અને બીજી બાજુ આપણો પક્ષ હતો. અસ્પૃશ્યોએ આ સંગઠનોનો સામનો કરવાનો હતો અર્થાત પરાજય થવો એ જ આપણું પહેલેથી ભાખેલું ભવિષ્યમાં હતું. પરંતુ પરાજય થયા પછી કાંઈ પગ વાળીને બેસી રહેવું પોષાય તેમ ન હતું. આપણાં લોકોએ ગમે ત્યાંથી બંધારણ સમિતિમાં પ્રવેશ મેળવી લેવાનો હતો. અસ્પૃશ્યોના રાજકીય હક્ક બંધારણ સમિતિ સમક્ષ રજુ કરવાની તક આપણાં પ્રતિનિધિને મળવી જોઈતી હતી. આ એક અત્યંત વિકટ પ્રશ્ન હતો. કૉંગ્રેસ અને શિડ્યુલ્ડ કાસ્ટસ ફેડરેશનને કોઈપણ ભોગે બંધારણ સમિતિમાં પ્રવેશવા દેવો નહીં એવો કૉંગ્રેસે મક્કમ નિર્ધાર કર્યો હતો ! (ચારે તરફથી શેમ, શેમના નારા) કૉંગ્રેસ પક્ષે ગમે તે કરીને બંધારણ સમિતિમાં પ્રવેશવાનું મારા માટે અશક્ય કર્યું હતું. આખરે બંગાળ પ્રાંતમાંથી બંધારણ સમિતિમાં પ્રવેશવાનો માર્ગ મેં શોધી કાઢ્યો અને ત્યાં પહોંચી ગયો. અસ્પૃશ્ય વર્ગોના હક્કોની વાત ત્યાં રજુ કરી શકાય, તેમને હિંદુ રાજ્યમાં કાંઈક સવલતો પ્રાપ્ત કરાવી શકાય એટલો જ મારો મર્યાદિત ઉદ્દેશ હતો.
રાષ્ટ્રનું બંધારણ મારે તૈયાર કરવું એવી કાંઈ મારી મહત્વકાંક્ષા નહોતી અને જ્યાં સમિતિના સભ્ય થવું જ મારા માટે અશક્ય હતું ત્યાં મારે હાથે બંધારણ ઘડવાનું આવશે એવી તો કલ્પના કરવી એ શક્ય નહોતું. ‘કોઈપણ માણસને બંધારણ સમિતિમાં પ્રવેશવા દઈશું, પરંતુ ડૉ. આંબેડકર તો નહીં જ’ એવું કૉંગ્રેસ તરફથી નક્કી કરવામાં આવ્યું હતું. બંધારણ સમિતિના દરવાજા મારા માટે બંધ હતાં જ, પરંતુ તેની સાથે સાથે બારીઓ પણ બંધ કરી દેવામાં આવી હતી. આજુબાજુના બાકોરા યે બંધ કરી દેવામાં આવ્યા હતાં. પરંતુ આપણા સૌભાગ્યને કારણે અને પરમેશ્વરની કૃપાને કારણે હું અંદર પગ મૂકી શક્યો અને કુદરતની કરામત એવી થઈ કે જે બંધારણ સમિતિમાં જ કોઈપણ ભોગે મને પ્રવેશવા ન દેવો એવો મક્કમ નિર્ધાર કર્યો હતો. તેમના જ શિરે (એટલે કે ડૉ. આંબેડકરના માથે) આવી મોટી જવાબદારી નાંખવામાં આવી. (‘હિયર…હિયર…’ની ગર્જના) જે કાંઈ ઘટના બની એ સદ્નસીબે બની કારણ કે આવા પ્રકારની મહાન કામગીરી કરવાની તક મનુષ્યને માત્રને તો કવચિત જ મળતી હોય છે. આ વાત મારા માટે ગૌરવરૂપ છે, એવી જ રીતે તમારા સૌને માટે પણ ગૌરવ લેવા જેવી ઘટના છે. (તાળીઓના ગડગડાટ)
(તા.૧૧-૧-૧૯૫૦ના રોજ મુંબઈમાં નરેપાર્ક ખાતે ભરાયેલ એક પ્રચંડ સભામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનો જાહેર સત્કાર સમારંભ થયો તે પ્રસંગે તેમણે આપેલું ભાષણ ‘જનતા’ સાપ્તાહિક તા.૧૪-૧-૧૯૫૦)
સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ