બદ્રીનાથ મંદિરના દ્વાર ઠંડી માટે આ વર્ષે ૧૯મી નવેમ્બરના દિવસે બંધ કરી દેવામાં આવનાર છે. આની સાથે જ વાર્ષિક ચારધામની યાત્રા પૂર્ણ થઇ જશે. વિજ્યાદશમીના પ્રસંગે મંદિરોના અધિકરીઓની હાજરીમાં આના માટે શુભમુહુર્ત નક્કી કરવામાં આવ્યા હતા. મોડેથી તારીખની જાહેરાત કરવામાં આવી હતી. બદ્રીનાથ કેદારનાથ સમિતિના મુખ્ય કારોબારી બીડીસિંહે માહિતી આપતા કહ્યું છે કે, હિમાલયમાં સ્થિત બદ્રીનાથ મંદિરના દ્વાર ૧૯મી નવેમ્બરના દિવસે સાંજે ૭.૩૦ વાગે બંધ કરી દેવામાં આવશે જ્યારે કેદારનાથ મંદિરના દ્વાર ૨૧મી ઓક્ટોબરના દિવસે સવારે ૮ વાગે બંધ કરી દેવામાં આવશે. ઉત્તરાખંડમાં સ્થિત ચારધામ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રીના દ્વાર દર વર્ષે ઠંડીના કારણે ઓક્ટોબર-નવેમ્બરમાં બંધ કરી દેવામાં આવે છે. કારણ કે ત્યાં ખુબ ભારે હિમવર્ષા થાય છે. આવી સ્થિતિમાં ત્યાં પહોંચવાની બાબત અશક્ય બની જાય છે જેથી બદ્રીનાથ અને કેદારનાથના દ્વારને બંધ કરવા માટે શુભ મુહુર્ત નક્કી કરી દેવામાં આવ્યા છે. આ વખતે પણ ચારધામની યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા અને આ સંખ્યા લાખોમાં પહોંચી હતી. શાંતિપૂર્ણરીતે ચારધામની યાત્રા હજુ પણ ચાલી રહી છે. જે ૧૯મી નવેમ્બર સુધી ચાલનાર છે. પ્રતિકુળ હવામાનના સંજોગ છતાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચાર ધામની યાત્રા દર વર્ષે પહોંચે છે. કેદારનાથ અને આસપાસના વિસ્તારોમાં ઠંડીના દિવસોમાં ભારે હિમવર્ષા થાય છે અને બરફની ચાદર ચારેબાજુ છવાઈ જાય છે. રસ્તાઓ બંધ કરવાની ફરજ પડે છે. સાવચેતીના પગલારુપે દર વર્ષે ઠંડીના દિવસોમાં આ યાત્રા બંધ કરી દેવામાં આવે છે.