જળસંપતિ રાજ્યમંત્રીશ્રી નાનુભાઈ વાનાણીના અધ્યક્ષસ્થાને સુરત સિંચાઈ વર્તુળ, અઠવાલાઈન્સ ખાતે કાકરાપાર સિંચાઈ યોજનાની સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં નહેરના આધુનિકીકરણ વિષય પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન કાકરાપાર જમણા કાંઠા અને ડાબા કાંઠા મુખ્ય નહેર તથા તેની શાખા-પ્રશાખાના નહેર સુધારણાના કામોની સમીક્ષા કરવામાં આવી હતી.
ડિસેમ્બર-૨૦૧૬ થી ફેબ્રુઆરી-૨૦૧૭ના ૬૦ દિવસ દરમિયાન રૂ.૩૬૦ કરોડના ખર્ચે ઉકાઈ-કાકરાપાર કમાન્ડ વિસ્તારમાં નહેર સુધારણાના કામો પૂર્ણ કરવામાં આવ્યા હોવાનું જણાવી જળસંપતિ રાજ્યમંત્રીશ્રી નાનુભાઈ વાનાણીએ સિંચાઈ અને પાણી પૂરવઠા વિભાગના કર્મચારીઓ-અધિકારીઓને પરસ્પર સંકલનથી વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન હાથ ધરાનાર નહેર સુધારણાના કામોને પણ ઝડપથી પૂર્ણ કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાકરાપાર સિંચાઈ યોજના દ્વારા ખેડૂતોને સિંચાઈ અને પીવાનું પૂરતું પાણી ઉપલબ્ધ કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ, સુરત સિંચાઈ વર્તુળના અધિકારીઓ, કાકરાપાર સિંચાઈ યોજના સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.