બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારે આજે રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવને ઇશારામાં મિડિયાના ડાર્લિંગ તરીકે ગણાવીને તેમના ઉપર પ્રહારો કર્યા હતા. નીતિશકુમારે કહ્યું હતું કે, મિડિયામાં રહેવા માટે લાલૂ પ્રસાદ યાદવ જુદા જુદા પ્રકારના નિવેદનો આપતા રહ્યા છે. નીતિશકુમારે કેન્દ્રીય મંત્રીમંડળમાં તેમની પાર્ટીને સામેલ નહીં કરવા ઉપર કહ્યું હતું કે, આ મંત્રીમંડળના વિસ્તરણમાં જેડીયુના સમાવેશની કોઇ ઇચ્છા ન હતી. સાથે સાથે કોઇ અપેક્ષા પણ ન હતી. પટણામાં એક કાર્યક્રમમાં ભાગ લીધા બાદ નીતિશકુમારે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, કેન્દ્રીય મંત્રીમંડળમાં હિસ્સેદારી માટે ક્યારે વિચારણા કરી ન હતી. ક્યારે કોઇ અપેક્ષા પણ ન હતી. આજ કારણસર જુદી જુદી વાતો કરવામાં આવી રહી હતી. મિડિયામાં જ્યારે વાતો આવવા લાગી ત્યારે લોકોના ડાર્લિંગ બનેલા લાલૂ પ્રસાદ યાદવે પણ બોલવાની તક ઝડપી લીધી હતી. નીતિશકુમારે કહ્યું હતું કે, મિડિયાના ડાર્લિંગ બની ગયેલા લાલૂ યાદવની વાત હવે કોઇ સાંભળતા નથી. નીતિશે કહ્યું હતું કે, લાલૂ જે કહેવાનું છે તે કહેતા રહે હવે બિહારની જનતા પ્રત્યે, બિહારના હિતને લઇને તથા બિહારના વિકાસ માટે અમે કટિબદ્ધ છીએ. જેડીયુના અધ્યક્ષે કહ્યું હતું કે, કેન્દ્રીય મંત્રીમંડળમાં જેડીયુની કોઇ ઉપેક્ષા થઇ નથી. મિડિયાને પણ હવે આ મામલો બંધ કરી દેવો જોઇએ. કારણ કે, આમા કોઇ વાસ્તવિકતા નથી. જેડીયુ સાથે સંબંધિત જે કંઇપણ વાતો હશે તેને તેઓ પોતે મિડિયામાં કરશે. રવિવારના દિવસે કેન્દ્રીય પ્રધાનમંડળના વિસ્તરણમાં જેડીયુને સામેલ કરવાને લઇને જુદા જુદા નિવેદન થઇ રહ્યા હતા પરંતુ મંત્રીમંડળના વિસ્તરણમાં જેડીયુને કોઇ જગ્યા ન મળતા અટકળ બજારમાં ગરમી જામી હતી.
પાછલી પોસ્ટ