પોરબંદરમાં તોફાને ચડેલા દરિયાના કારણે માછીમારોને કરોડોનું નુકસાન વેઠવું પડ્યું છે. જેને ભરપાઈ કરવા માછીમાર સમાજે રાજ્ય સરકાર પાસે સહાયની માંગ કરી છે. જો આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા મદદ કરવામાં નહીં આવે તો માછીમાર સમાજ આંદોલન કરશે, તેવી માછીમાર એસોશિએશન તરફથી જણાવાયું છે.
રાત દિવસ ઘૂંઘવાતા દરિયામાં જિંદગી અને મોત વચ્ચે પોરબંદરના માછીમારો જોખમ ખેડી પેટીયુ રળે છે. જ્યારે કુદરત કોપાયમાન બને ત્યારે માછીમારોને જીવ જોખમમાં મુકાતા હોય છે. પોરબંદરના દરિયામાં કરંટ સર્જાતા દરિયો તોફાની બન્યો છે. તણાઈને દરિયાકાંઠે આવેલી બોટ દરિયામાં આવેલા ભયાનક તોફાનનો અંદાજ આપી રહી છે. દરિયો એટલો તોફાની બન્યો છે કે બે લોકો દરિયાકાંઠે આવવા મરણિયા પ્રયાસ કરી રહ્યાં છે. જોકે, દરિયાના તોફાની મોજાના કારણે કિનારે આવવું મુશ્કેલ બન્યું છે. તો તણાઈ રહેલા લોકોને બચાવવા માટે કોસ્ટગાર્ડ સહિત સ્થાનિક તંત્ર પણ મદદે આવ્યું છે.
દરિયામાં આવેલા તોફાનનાં કારણે માછીમારોને મોટુ નુકસાન થયું છે. માછીમારોને થયેલા નુકશાન અંગે પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ સમીક્ષા બેઠક બોલાવી હતી અને દરિયાકાંઠાના વિસ્તારોની મુલાકાત કરી હતી. તો આ મામલે માછીમાર એસોસિએશનને કહ્યું કે, સરકાર માછીમારોની મદદે આવી રહીં નથી. માછીમારો પોતાની જાતે રેસ્ક્યુ કરીને લોકોને બહાર કાઢી રહ્યાં છે. આગામી દિવસોમાં સરકાર માછીમારોને સહાય નહીં કરે તો માછીમાર સમાજ આંદોલન કરશે.