શહેરના નવરંગપુરા વિસ્તારમાં ૯૩ વર્ષીય નિવૃત્ત ઇજનેર રસિકલાલ મહેતાની હત્યાના ચકચારભર્યા પ્રકરણમાં તેમના ત્યાં કામ કરતાં અને હાલ સાબરમતી જેલમાં જેલવાસ ભોગવી રહેલા જૂના ઘરઘાટીની સંડોવણીના મળેલા પુરાવાઓના આધારે પોલીસે આખરે હત્યારાને ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. જો કે, હજુ કેસની કેટલીક ખૂટતી કડીઓ અને સંવેદનશીલ વિગતો તપાસમાં હોવાથી પોલીસે સત્તાવાર રીતે નામ અને ઓળખ જાહેર કર્યા નથી. રસિકલાલ મહેતાના બંગલામાંથી ચોરાયેલી કાર શામળાજી ચેકપોસ્ટ પર પહોંચ્યા પછી સીસીટીવી ફુટેજના આધારે પોલીસે હત્યારાની ઓળખ કરી લીધી હતી. ક્રાઇમબ્રાંચની ટીમના અધિકારીઓને શામલાજી ચેકપોસ્ટના સીસીટીવી ફુટેજમાં કાનમાં બુટ્ટી પહેરેલો શખ્સ સ્પષ્ટ દેખાયો હોવાથી પોલીસને ચોરેલી કાર અને જે શખ્સની શોધ હતી, તે મળી ગયા હતા. ભાજપના કોષાધ્યક્ષ સુરેન્દ્ પટેલના વેવાઇ અને નિવૃત્ત ઇજનેર, લેખક અને યોગશિક્ષક એવા રસિકલાલ મહેતાની બે દિવસ પહેલા રાત્રે રહસ્યમય સંજોગોમાં હત્યા થઇ જતાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસને આ પ્રકરણમાં હાથ લાગેલી કેટલી મહત્વની કડીઓ પરથી આ હત્યા કેસમાં મૃતક રસિકલાલના જૂના ઘરઘાટીનું કારસ્તાન હોય તેવી પણ જાણકારી સામે આવી હતી. આ ઘરઘાટી અગાઉ મૃતક રસિકલાલના ત્યાં કામ કરતો હતો પરંતુ તેનો સ્વભાવ સારો નહી હોવાથી તેને કાઢી મૂકાયો હતો. આરોપી જે કાર લઇને ભાગ્યો તેની બે ચાવી હતી. એક ચાવી રસિકલાલના બેડ પાસે ટેબલ પર પડી હતી અને બીજીચાવી રસોડાના ડ્રોઅરમાં હતી. આરોપીએ રસોડાના ડ્રોઅરમાં ચાવી કાઢી ટેબલ પર મૂકી હતી, ટેબલ પર પડેલી ચાવી લઇને કાર લઇને ભાગ્યો હતો. આ બધી હકીકતો કોઇ જાણભેદુ જ જાણી શકે અને તેથી આ સમગ્ર હત્યા પ્રકરણમાં કોઇ નજીકના જાણકાર વ્યકિતનો હાથ હોવાની પોલીસને પૂરી આશંકા હતી, તેથી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી રાજસ્થાન સહિતના વિસ્તારોમાં સીસીટીવી ફુટેજના આધારે મળેલા નિર્દેશોને પગલે હત્યારાને ઝડપી લેવા તપાસનો દોર આગળ ધપાવ્યો હતો. જેમાં આખરે આજે પોલીસને સફળતા મળી હતી.