સુરત ખાતે મસમોટું નિવેદન કરતાં કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે જો ગુજરાતમાં કોંગ્રેસ સત્તામાં આવશે તો રાજ્યના આર્થિક રીતે પછાતો માટે ૨૦ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવશે. આ માટે વિધાનસભા ખરડો લાવી પસાર કરવામાં આવશે. જો આ મામલે જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી લડીશું. જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર આપવામાં આવનારા આ ઈકોનોમિક્સ બેકવર્ડ ક્લાસિસ(ઈબીસી) રિઝર્વેશનનો લાભ પાટીદાર સમાજને મળશે.કોંગ્રેસે સંગઠનમાં પાટીદારને મહત્વ આપ્યું છે. અને આ ઈબીસી રિઝર્વવેશનમાં પણ પાટીદારને મહત્વ મળશે. સંગઠન અને પાર્ટીમાં સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાનીને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.સુરત ખાતે કરેલા સંબોધનમાં ભરતસિંહ સોલંકીએ આસારામ, રામરહીમના મુદ્દે પણ પ્રતિક્રિયા આપી હતી. આ પ્રકારના સંતો એ ભાજપની દેણ છે. ભાજપે જ આવા લોકોને ઉભા કર્યા છે. તેમ તેમણે કહ્યું હતું.જ્યારે હાર્દિક પટેલની ધરપકડ વિશે ભરતસિંહે કહ્યું હતું કે ભાજપ હવે ગભરાઈ ગઈ છે. માટે આવા પગલાં ભરે છે.કોંગ્રેસ સત્ય વિજય સંમેલન થકી ચૂંટણી પ્રચારનું બ્યુગલ ફૂંકશે, તેમ તેમણે કહ્યું હતું.પાટીદાર અનામત આંદોલનના કન્વિનર હાર્દિક પટેલને લઇને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક જંગ જોવા મળ્યો હતો. એક તરફ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે હાર્દિક પટેલને કોંગ્રેસનો એજન્ટ કહ્યો હતો અને કોંગ્રેસે તેને સ્ટેજ પર બોલાવી ખેસ પહેરાવી દેવો જોઇએ તેવો કટાક્ષ કરતા કોંગ્રેસે પણ પલટવાર કર્યો હતો.નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એક કાર્યક્રમમાં પાટીદાર અનામત આંદોલનના કન્વિનર હાર્દિક પટેલને લઇને ટિપ્પણી કરી હતી. નાયબ મુખ્યપ્રધાને કહ્યું હતું કે, હાર્દિક પટેલ કોંગ્રેસનો એજન્ટ છે. કોંગ્રેસે તેને સ્ટેજ પર બોલાવી ખેસ પહેરાવી દેવો જોઇએ. જો કે, નાયબ મુખ્યપ્રધાનની આ ટિપ્પણી બાદ સ્થાનિક રાજકારણ ગરમાયું હતું. કોંગ્રેસે પણ નાયબ મુખ્યપ્રધાન પર પલટવાર કર્યો હતો.
પાછલી પોસ્ટ