ગુજરાત વિધાનસભાના અમદાવાદના નારણપુરા મતવિસ્તારના ધારાસભ્યપદેથી શ્રી અમીતભાઈ શાહે આજે બપોરે રાજીનામું આપ્યું હતું. રાજ્યસભાના સભ્ય તરીકે જીત હાંસલ કરતાં શ્રી અમીતભાઈ શાહે આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણલાલ વોરાને ધારાસભ્યપદેથી પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી શંકરભાઈ ચૌધરી અને દંડક શ્રી પંકજભાઈ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા. યોગાનુયોગ આજે જ શ્રી અમીતભાઈ શાહ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે ત્રણ વર્ષ પૂરાં કરી રહ્યા છે. આ વિશેષ દિવસે મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તેમને અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા હતા.