ગોધરા ખાતે લુણાવાડા રોડ પર પંચામૃત ડેરી આવેલી છે જે ત્રણ જીલ્લા પંચમહાલ, મહીસાગર, દાહોદના પશુપાલકો માટે આશીર્વાદ સમાન છે. તાજેતરમાં નિયામક મંડળની ચુંટણી યોજાઈ હતી જેમાં ત્રણ જીલ્લાની ૧૮ બેઠકો પર સભ્યો બિનહરીફ થતા જેઠાભાઈ ભરવાડ ચેરમેન પદે નિશ્વિત મનાઇ રહ્યા હતા. પ્રાંત અધિકારી અને બોર્ડ ઓફ ડિરેકટર્સની હાજરીમાં ચેરમેન પદની ચુંટણીમાં જેઠાભાઇ ભરવાડ બિનહરીફ ચુંટાઇ આવ્યાં હતાં. જેઠાભાઇ સતત ચોથી વખત પંચામૃત ડેરીના ચેરમેન તરીકે બિન હરીફ ચુંટાયા છે. ચેરમેન પદે વરણી થતા ડેરીના કેમ્પસમાં સ્થાનિક કલાકારો દ્વારા ગફુલી નૃત્યની રમઝટ જમાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના અગ્રણીઓ, કાર્યકરો, ગ્રામ્ય વિસ્તારોની ડેરીઓના ચેરમેને પણ તેમને શુભકામના પાઠવી હતી. જેઠાભાઇ ભરવાડે જણાવ્યું હતું કે, ૨૦૦૯માં ડેરીના ચેરમેન પદે ચુંટાયો ત્યારે દુધની આવક ૪ લાખ લિટર જેટલી હતી. આજે ૧૬ લાખ લિટરે પહોંચી છે. ૨૦૦૯માં ડેરીનું ટર્નઓવર ૪૦૦ કરોડ હતું જે આજે ૨૯૦૦ કરોડ જેટલું પહોંચ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કે ડેરીના પ્લાન્ટોનું નવીનીકરણ,રિનોવેશન કરાઈ રહ્યું છે. ઇન્દોરના દયાલ પાસે ૩ લાખ લિટરનું પેકિંગ થાય તે માટેના પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, પશુપાલકોને પહેલા ૩૨૩ રૂપિયાનો ભાવ આપવામાં આવતો હતો. હવે ૭૫૩ રૂપિયાનો ભાવ આપવામાં આવે છે. તેમને ત્રણેય જીલ્લા પંચમહાલ, મહીસાગર, દાહોદના પશુપાલકોના સપોર્ટ અને સુઝબુઝના કારણે પંચામૃત ડેરી પ્રગતિ કરી રહી હોવાનું જણાવી તેમને આભાર વ્યકત કર્યો હતો. અત્રે નોંધનીય છે કે જેઠાભાઇ ભરવાડ શહેરા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે અને ચોથી વખત તેઓ બિનહરીફ ચુંટાઈ આવતા સહકારી ક્ષેત્રમાં તેમણે પોતાનો દબદબો આજે પણ જાળવી રાખ્યો છે.
(તસવીર / વિડિયો / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)