એક મેચ માટે પ્રતિંબધના કારણે શ્રીલંકા સામે રમાનારી ત્રીજી ટેસ્ટ ક્રિકેટ મેચની બહાર થઈ ગયેલા સ્પિનર રવીન્દ્ર જાડેજાના સ્થાને અક્ષર પટેલનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અક્ષર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને ડાબોડી સ્પિનર કુલદીપ યાદવ બાદ ટીમમાં સામેલ ત્રીજો સ્પિનર છે.અક્ષર હજી સુધી એક પણ ટેસ્ટ રમ્યો નથી પરંતુ તે ૩૦ વન-ડે અને સાત ટી૨૦ મેચ રમી ચૂક્યો છે. તે ૨૩ ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યો છે જેમાં તેણે ૭૯ વિકેટ ઝડપી છે. તાજેતરમાં જ તે સાઉથ આફ્રિકામાં રમાયેલી ત્રિકોણીય શ્રેણીમાં ભારત-એ ટીમો ભાગ રહ્યો હતો. આ શ્રેણીમાં તે ટીમનો ત્રીજો સૌથી સફળ બોલર રહ્યો હતો અને તેણે ચાર મેચમાં સાત વિકેટ ઝડપી હતી.બીજી ટેસ્ટ મેચ પૂરી થયા બાદ જાડેજા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જાડેજાએ મેચ દરમિયાન બેટ્સમેન મલિંડા પુષ્પકુમારા સામે એક થ્રો કર્યો હતો જેને અમ્પાયર્સે જોખમી ગણાવ્યો હતો. તેને ત્રણ ડીમેરિટ પોઈન્ટ મળ્યા હતા અને ૨૦ મહિનાની અંદર તેના કુલ છ ડીમેરિટ પોઈન્ટ થયા હતા. જેના કારણે તેના પર એક ટેસ્ટ મેચનો પ્રતિબંધ લાગ્યો હતો.બીજી ટેસ્ટમાં જાડેજા મેન ઓફ ધ મેચ બન્યો હતો. તેણે ૮૫ બોલમાં અણનમ ૭૦ રનની ઈનિંગ્સ રમવા ઉપરાંત બીજા દાવમાં પાંચ વિકેટ પણ ઝડપી હતી. તેના આ પ્રદર્શનની મદદથી તે ટેસ્ટ ઓલ-રાઉન્ડર્સમાં નંબર વનના સ્થાને પહોંચી ગયો હતો. જાડેજા ટેસ્ટ બોલર્સમાં પણ નંબર-૧ના સ્થાને છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ ૧૨ ઓગસ્ટે પલ્લીકલમાં રમાશે. ભારત ત્રણ મેચની શ્રેણીમાં ૨-૦ની અજેય સરસાઈ ધરાવે છે.ભારતીય ટીમ આ મુજબ છેઃ વિરાટ કોહલી (સુકાની), અજિંક્ય રહાણે (ઉપસુકાની), શિખર ધવન, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, રોહિત શર્મા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, રિદ્ધિમાન સહા (વિકેટકીપર), ઈશાન્ત શર્મા, ઉમેશ યાદવ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, અભિનવ મુકુંદ.