ડોકલામ મુદ્દે ચીન સાથે ચાલી રહેલા ગતિરોધ વચ્ચે રક્ષામંત્રાલયે કેન્દ્ર સરકાર પાસે યુદ્ધ માટે તૈયાર રહેવા ૨૦ હજાર કરોડ રુપિયાના વધારાના બજેટની માગ કરી છે. આ માગ એવા સમયે કરવામાં આવી છે જ્યારે ભારત અને ચીનની સેના ડોકલામ સરહદે ગત બે મહિનાથી આમનેસામને છે અને ચીન ભારતને અનેકવાર યુદ્ધની ધમકી આપી ચુક્યું છે.વર્ષ ૨૦૧૭માં કેન્દ્ર સરકારે રુપિયા ૨,૭૪,૧૧૩ કરોડનું રક્ષા બજેટ રજૂ કર્યું હતું. જે દેશના જીડીપીનો ૧.૬૨ ટકા ભાગ હતો. ગત વર્ષ કરતા આ વર્ષે રક્ષા બજેટમાં માત્ર ૬ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.
રક્ષામંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ તેમણે જે બજેટ સરકાર પાસે માગ્યું છે તેનો ૫૦ ટકા હિસ્સો તેને મળી ગયો છે, જેમાંથી સેનાની જરુરિયાત મુજબ એક તૃતીયાંશ બજેટ ખર્ચ પણ કરવામાં આવ્યું છે.આપને જણાવી દઈએ કે, કેટલાક સપ્તાહ પહેલા જ રક્ષા મંત્રાલયે સેનાના ઉપપ્રમુખને યુદ્ધમાં ઉપયોગમાં લેવામાં આવતા હથિયારો ખરીદવા જણાવ્યું હતું. તો બીજી તરફ હથિયારો ખરીદવામાં જે સમયનો બગાડ થતો હતો તેમાં પણ સરકારે કડક કાર્યવાહી કરતા સુધાર આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સેનાને કોઈપણ સમયે યુદ્ધ માટે અચાનક તૈયાર રહેવા માટે કમસેકમ ૧૦ દિવસની હથિયાર સામગ્રી હોવી અનિવાર્ય છે.આ પહેલા કેગના રિપોર્ટમાં પણ જણાવવામાં આવ્યું હતું કે, ભારતીય સેના પાસે યુદ્ધના સમયમાં ફક્ત ૧૦ દિવસ ચાલે તેટલી જ હથિયાર સામગ્રી છે. અને તેમાંથી પણ અનેક પ્રકારના હથિયારોની ગુણવત્તા સંતોષજનક જણાઈ ન હતી.