રાજકોટમાં દર વર્ષે હજારો સ્થળે ગણેશ મહોત્સવનું આયોજન થાય છે. અને વિસર્જન સમયે મોટી મોટી પીઓપીની મુર્તિઓનું વિસર્જન આજી નદીમાં કરવામાં આવે છે. જેના પગલે પાણી પ્રદુષણ થવાની સાથે સાથે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. તો સાથે વિસર્જન સમયે મોટી મુર્તિઓના વિસર્જન માટે તંત્રએ ક્રેનની પણ વ્યવસ્થા કરવી પડે છે. જેને લઈ પોલીસે આ વર્ષથી નવા પ્રયોગ સાથે ધાર્મિક મહાત્મય જળવાઈ રહે તેવા હેતુથી પંડાલમાં જ ગણપતિજીનું વિસર્જન કરવાની આયોજકોને અપીલ કરી છે. આ માટે લોકો જાગૃત થાય તેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.રંગીલા રાજકોટની ઉત્સવ પ્રિય જનતા સાતમ-આઠમના પર્વની ભાવપૂર્વક ધામધૂમથી ઉજવણી કર્યા બાદ હવે ગણેશ ઉત્સવને ઊજવવાની તડામાર તૈયારીમાં લાગી ગઈ છે. જેને લઈને આયોજકો છેલ્લા ત્રણેક મહિના અને મૂર્તિકારો લગભગ ૬ મહિનાથી તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. જોકે ચાલુ વર્ષે વિઘ્નહર્તા ગણપતિજીને પણ જીએસટીનું વિઘ્ન નડતા મૂર્તિઓનાં ભાવમાં ૧૦% જેટલો વધારો નોંધાયો છે. છેલ્લાં ઘણાં વર્ષોથી અલગ અલગ મૂર્તિ તૈયાર કરવામાં આવી રહી છે. એમાં પણ ખાસ ગણેશ મહોત્સવ દરમિયાન એડવાન્સ બુકિંગ સાથે ઓર્ડર મુજબ ઉપરાંત અલગ અલગ સ્વરૂપમાં ગણપતિ બાપાની મૂર્તિ તૈયાર કરવામાં આવતી હોય છે. ખાસ તો આ વર્ષે મૂર્તિ પર જીએસટીને કારણે ભાવમાં વધારો થયો છે. આમ છતાં કોરોનાનાં બે વર્ષ બાદ પ્રથમ વખત ધામધૂમથી ઉજવાઈ રહેલા ગણેશોત્સવને લઈને ભાવિકોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને અંદાજે ૫૦% કરતા વધુ મૂર્તિઓ બુક થઈ ચૂકી છે. કોરોનાનાં બે વર્ષ દરમિયાન તમામ તહેવારો ઉજવવા પર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. જોકે ચાલુવર્ષે હાલ કોરોનાનું સંક્રમણ ઘટ્યું હોવાથી રાજ્ય સરકાર દ્વારા તમામ તહેવારો ધામધૂમથી ઉજવવા માટે મંજૂરી પણ આપવામાં આવી રહી છે. તાજેતરમાં સાતમ-આઠમની ઉજવણી પૂર્ણ થયા પછી હાલમાં શહેરીજનો ગણપતિ મહોત્સવની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. શહેરમાં બે વર્ષ બાદ ધામધૂમથી ઉજવવામાં આવનાર ગણેશોત્સવને લઈને મૂર્તિકારો છેલ્લા ૬ મહિનાથી તૈયારીઓ કરી રહ્યા છે.
આગળની પોસ્ટ