કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉત્તર ગુજરાતના તેમના ચૂંટણી પ્રવાસના આજે બીજા દિવસે દાંતા, પાલનપુર સહિતના સહિતના સ્થળોએ જાહેરસભા દરમ્યાન નોટબંધી અને જીએસટીને લઇ મોદી સરકાર અને ભાજપ પર ફરી એકવાર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નોટબંધીના પરિણામ સ્વરુપે તમામ ચોરોએ કાળા પૈસા સફેદ કરી લીધા છે. રાહુલે આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની કંપનીનો કરોડોનો નફો અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને સેબી દ્વારા દંડ ફટકારવાના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધા સવાલો કરતાં જણાવ્યું હતું કે, મોદીજી દેશના યુવાઓ અને જનતાને એ સમજાવે કે, અમિત શાહના પુત્ર જય શાહની કંપની રૂ.૫૦ હજાર કરોડમાંથી રૂ.૮૦ કરોડનો નફો કરતી કેવી રીતે થઇ ગઇ? મુખ્યમંત્રી વિજય રૂપાણીને સેબીએ દંડ ફટકાર્યો તે મુદ્દે પણ મોદીજી કેમ કંઇ બોલતા નથી. જય શાહ અને રૂપાણી મુદ્દે કંઇક તો બોલો મોદીજી. જો તમે નહી બોલો તો, જનતા સમજી જશે કે, તમે ચોકીદાર નહી ભાગીદાર છો. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર, શોષણ અને અત્યાચાર ચરમસીમાએ છે. મોદીજી તેમના મનની વાત જનતાને કરે છે પરંતુ અમે અમારા મનની વાત નહી કરીએ. આ વખતે ડિસેમ્બરમાં કોંગ્રેસની સરકાર બનવાની છે અને અમે જનતાના મનની વાત સાંભળીશું અને તેના બળના સહારે ગુજરાતની જનતાની સરકાર ચલાવીશું. તેમણે ઉમેર્યું કે, મોદીજી કહેતા હતા કે, ના ખાઉંગા, ના ખાને દૂંગા પરંતુ હવે જય શાહ અને વિજય રૂપાણીના મામલે મોદીજી કંઇ બોલતા નથી અને બોલવા પણ દેતા નથી, તેથી હવે સૂત્ર બદલાઇ ગયુ છે કે, ના બોલુંગા, ના બોલને દૂંગા. ગુજરાતમાં ખેડૂતો, આદિવાસીઓની જમીન, પાણી, વીજળી છીનવીને તેમના હક્કના પાણી, વીજળી અને જમીન મોદીના માનીતા ઉદ્યોગપતિઓને આપી દેવાય છે. નર્મદાનું પાણી ગુજરાતના મોટા ઉદ્યોગપતિઓને અપાય છે પરંતુ ખેડૂતો અને આદિવાસીઓને મળતું નથી. મોદી સરકાર અને ભાજપ વાયદાઓ કરે છે પરંતુ પાળતા નથી. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડા હાથે લેતાં જણાવ્યું કે, નોટબંધીએ ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં સૌથી મોટી ભૂલ હતી અને સ્વયં મોદીજીએ હિન્દુસ્તાનના ખેડૂતો, મજૂરો, આદિવાસીઓ, નાના દુકાનદારો, વેપારીઓ, મહિલાઓ, બહેનો બધાને લાઇનમાં લગાવી દીધા અને બેંકોના પાછલા દરવાજેથી હિન્દુસ્તાનના તમામ ચોરોએ પોતાનું કાળુ નાણું સફેદ કરાવી દીધું. આ બહુ આઘાતજનક અને લોકશાહીના ઇતિહાસમાં કાળા દિવસ સમાન ઘટના છે. કારણ કે, નોટબંધી દરમ્યાન ૧૦૦થી વધુ નિર્દોષ નાગરિકો મોતને ભેટયા અને લાખો લોકો બેરોજગાર થઇ ગયા. આટલુ ઓછું હોય તેમ નોટબંધીના પ્રહાર બાદ મોદી સરકારે જીએસટીનો વજ્રાઘાત લોકોને માર્યો, ખાસ કરીને નાના દુકાનદારો, વેપારીઓ અને મધ્યમ કદના ઉદ્યોગકારો ખતમ થઇ ગયા. રાહુલ ગાંધીએ શિક્ષણ, આરોગ્ય અને બેરોજગારીને લઇને પણ મોદી સરકાર અને ભાજપ પર ચાબખા વરસાવ્યા હતા. રાહુલે જણાવ્યું કે, ગુજરાતમાં ૯૦ ટકા કોલેજોનું ખાનગીકરણ થઇ ગયું છે. આજે ગરીબ આદિવાસીઓ કે ખેડૂતોના સંતાનોને ભણાવવા હોય કે કોલેજમાં મોકલવા હોય તો ખિસ્સામા પહેલાં પાંચ-દસ લાખ રૂપિયા હોવા જોઇએ પરંતુ તે તેમની પાસે નથી. આરોગ્યના ક્ષેત્રે પણ આ જ હાલત છે. લોકોને કેન્સર, હૃદયરોગ સહિતની ગંભીર બિમારીઓમાં પણ લાખો રૂપિયાના ખર્ચ વિના સારવાર મળતી નથી. જયારે કોંગ્રેસે તેના શાસિત રાજયોમાં આ સારવારો મફત ઉપલબ્ધ કરાવી હતી. બેરોજગારી પણ આજે એક પડકારસમાન ચિંતાનો વિષય બની રહ્યો છે. આજે આપણી સ્પર્ધા ચીન સાથે છે. ચીન રોજના ૫૦ હજાર લોકોને રોજગારી આપે છે, જયારે મોદીજી માત્ર દેશમાં ૪૫૦ યુવાઓને રોજગારી આપે છે. દર વર્ષે બે કરોડ યુવાઓને રોજગારી આપવાનો તેમણે વાયદો કર્યો હતો પરંતુ તે પળાયો નથી અને આજે ગુજરાતમાં ત્રીસ લાખ બેરોજગાર યુવાનો રોજગારી માટે તરસી રહ્યા છે.
આગળની પોસ્ટ