મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે વરિષ્ઠ સામ્યવાદી નેતા કોમરેડ ગોવિંદ પાનસરેની ૨૦૧૫માં કોલ્હાપુરમાં કરવામાં આવેલી હત્યાના પ્રકરણમાં શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરવામાં મદદરૂપ થાય એવી માહિતી આપનારને સરકાર તરફથી રૂ. ૧૦ લાખનું ઈનામ આપવામાં આવશે.
પાનસરેની હત્યાના પ્રકરણમાં બે જણને આરોપી જાહેર કરવામાં આવ્યા છે – વિનય પવાર અને સારંગ અકોલકર.પાનસરે પર ગોળીબાર કરવાનો વિનય પવાર અને સારંગ અકોલકર ઉપર આરોપ છે.પાનસરે અને એમના પત્ની ઉમા ૨૦૧૫ની ૧૬ ફેબ્રુઆરીએ કોલ્હાપુરના સાગર મલ મહોલ્લામાં મોર્નિંગ વોક કરવા નીકળ્યાં હતાં ત્યારે મોટરસાઈકલ પર સવાર થયેલા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો જેમાં પાનસરે ઘાયલ થયા હતા અને ૨૦ ફેબ્રુઆરીએ મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં એમનું નિધન થયું હતું. હુમલામાં ઉમા પાનસરે બચી ગયાં હતાં.પાનસરેના પત્ની ઉમા પાનસરેએ એક ફોટામાં બંને આરોપીને ઓળખી બતાવ્યા છે.
પાનસરેની હત્યા કર્યા બાદ વિનય અને સારંગ ફરાર થઈ ગયા હતા અને હજી પોલીસના હાથમાં આવ્યા નથી. એમની સામે એક સ્થાનિક કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ પણ ઈસ્યૂ કર્યું છે.આ ઉપરાંત એક સાક્ષીદારે પણ પવાર અને અકોલકર પિસ્તોલ મેળવવા માટે કોલ્હાપુર શહેરના બિંદુ ચોક ખાતેની દુકાનમાં ગયા હતા એવી પોલીસને માહિતી આપી છે.
પોલીસે પાનસરેની હત્યાના સંબંધમાં સમીર ગાયકવાડ નામના શખ્સને અટકમાં લીધો છે.પાનસરેના હત્યાના કેસની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. એસઆઇટી અને કોલ્હાપુર પોલીસ તપાસ કરી રહી છે. તેણે જ રાજ્ય સરકારને વિનંતી કરી હતી કે પવાર અને અકોલકરની ધરપકડ તરફ દોરી જાય એવી માહિતી આપનારને રૂ. ૧૦ લાખનું ઈનામ આપવાની જાહેરાત કરવી જોઈએ. સરકારે એ વિનંતીનો સ્વીકાર કરી લીધો છે. આ જાણકારી આજે ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (કોલ્હાપુર રેન્જ) વિશ્વાસ નાંગ્રે-પાટીલે પત્રકારોને આપી હતી.
પાનસરેના હત્યારા હજી હાથમાં ન આવ્યા હોઈ રાજ્ય સરકારની ટીકા થઈ રહી છે ત્યારે સરકારે ઉક્ત બંને શકમંદ વિશે માહિતી આપનારને રૂ. ૧૦ લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.બીજી બાજુ, કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ પણ પવાર અને અકોલકર વિશે માહિતી આપનારને રૂ. પાંચ લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.