અમદાવાદ એપીએમસી માર્કેટ વાસણા મુકામે અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાનાં પ્રભારી તરીકે સી.ડી.પટેલની વરણી કરવામાં આવી હતી અને બાદમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ જિલ્લા પાર્ટીનાં હોદ્દેદારો, શહેર કન્વીનર તેમજ તાલુકા અને જિલ્લાનાં સભ્યો દ્વારા સન્માનિત કરાયા હતાં. આ પ્રસંગે સી.ડી.પટેલે તેમનો પરિચય આપતાં જણાવ્યું કે, હું ભાજપનો કાર્યકર્તા બન્યો ત્યારથી પાર્ટીએ મને જ્યાં જ્યાં જવાબદારી સોંપી છે તેને મેં પ્રામાણિકપણે નિભાવવાનો પ્રયત્ન કરું છું. પાર્ટીએ મને નાની-મોટી અનેક ચૂંટણી લડાવી જેમાં ઘણીવાર મને નિષ્ફળતા પણ મળી છે પરંતુ હું ક્યારેય નિરાશ થયો નહતો. અનેક હોદ્દાઓ પાર્ટીએ મને આપ્યાં છે અને આ જવાબદારી મેં ગૌરવપૂર્ણ નિભાવી છે. આજે મને અમદાવાદ જિલ્લાનાં પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે તેનું મને બેહદ ગૌરવ છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં આપણે સૌએ મતભેદ ભૂલી માત્ર ‘કમળ’ને જીતાડવા માટેનું આહ્વાન કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાર્ટીમાં કોઈ વ્યક્તિ પરંતુ ‘કમળ’ આપણો ઉમેદવાર છે. આવું જણાવી પાર્ટીના કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કર્યા હતાં.
આ પ્રસંગે તેઓએ નવા નિમાયેલા પદાધિકારીઓને અભિનંદન આપી નિયુક્તિના પત્રો એનાયત કર્યા હતાં. ઉપરોક્ત તસ્વીરમાં નવા પ્રભારી સી.ડી.પટેલ, અમદાવાદ જિલ્લા સંગઠન પ્રમુખ આર.સી.પટેલ, ભાજપ પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ધંધુકાના પૂર્વ સીનિયર સાંસદ રતિલાલ વર્મા નજરે પડે છે.
આગળની પોસ્ટ