રવિવાર તા. 10/04/2022 ના રોજ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં રામ નવમીના શુભ પર્વે નીકળેલી રામલલ્લાની શોભાયાત્રા પર અમુક કટ્ટરપંથીઓના પથ્થરમારા તેમજ દુકાનો ઉપરાંત વાહનોમાં તથા અમુક ધાર્મિક સ્થળો પર આગચંપીની ઘટનાઓ બન્યા બાદ આજે દિવસભર દરમ્યાન શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હત. પરંતુ માત્ર દિવસ આથમવાની સાથે જ એક વખત હિંમતનગરમાં એક વિસ્તારમાં ફરીથી હિંસા ભડકી હતી. જેના કારણે પોલીસની રાહત ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર, હિંમતનગરના વણઝારા વાસમાં ફરી એક વખત અચાનક તોફાન ફાટી નીકળ્યા હતા. વણઝારા વાસમાં આવેલ હસનનગર વિસ્તારમાંથી અમુક કટ્ટરપંથીઓ દ્વારા પેટ્રોલ બૉમ્બ ફેંકાયા હોવાની આશંકા વર્તાઈ રહી છે. આ ઘટનાને પગલે અમુક ટોળાઓ સામ સામે આવી જતાં સ્થિતિ ફરી એક વખત તંગ બની ગઈ હતી.
ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવવા ઉપરાંત તોફાની ટોળાને વિખેરવા માટે ટિયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. ત્યારબાદ ઘટના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.