રાજકારણ
ભારતયા જનતા પાર્ટી ગુજરાત રાજયમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ AAP ને નેસ્તોનાબુદ કરી દેવા એડી-ચોટીનો જોર લગાવી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે ગુજરાતાના એક પછી એક આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાનો પક્ષ છોડીને ભગવો ધારણ કરીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા જ ઉત્તર ગુજરાતમાં વિજય સુવાળાથી લઈને અંદાજિત 1000 જેટલા આપ કાર્યકર્તાઓ ભાજપનો ભગવો ધારણ કરી ચૂક્યા છે. ત્યારે આજે ફરી એક વખત મધ્ય ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ગાબડું પડી રહ્યું છે. મળતી માહિતી અનુસાર આપના ઘણા નેતાઓ સીઆર પાટીલના હસ્તે કેસરીયો ધારણ કરી શકે છે.
ભાજપ દ્વારા કેસરી ટોપી પહેરાવી તેમનું સ્વાગત કરાશે
માહિતી મળી રહી છે, કે કોંગ્રેસ અને આપના ઘણા નેતાઓ ભાજપમાં જોડાઈ શકે છે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલની હાજરીમાં તમામે તમામ કેસરીયો ખેસ ધારણ કરશે. મધ્ય ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ ભાજપમાં જોડાશે. બીજી તરફ AAP દ્વારા ગુજરાત વિધાનસભામાં 50 બેઠકો જીતવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે એક પછી એક પક્ષ પલટુઓના ભાજપમાં જવાને કારણે આમ આદમી પાર્ટી કેવી રીતે 50 બેઠકો જીતશે તે સૌથી મોટો પ્રશ્ન ઊભો કરે છે. કારણ કે આપનો નાનો હોય કે મોટો નેતા હોય તક મળતાની સાથે જ ભાજપનો કેસરીયો ધારણ કરી રહ્યો છે.
આપે કર્યો 50 વિધાનસભા બેઠકો જીતવાનો દાવો
આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપ દ્વારા 50 થી વધુ બેઠકો જીતવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દરમ્યાન ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધવામાં હતી. AAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા જીતનો દાવો કરવામાં આવ્યો હતો. આ સાથે જ અન્ય એક પાર્ટી કાર્યકરે સંબોધનમાં જણાવ્યુ કે અમે કોઇ પાર્ટીને હરાવવા નથી માગતા અમે તો બસ જનતાને જીતાડવા માંગીએ છીએ. આ વાત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પણ તિરંગા યાત્રા દરમ્યાન કહેવામાં આવી છે. ગુજરાતમાં સ્કૂલ બને, હોસ્પિટલ બને, ભ્રષ્ટાચાર દૂર થાય, કોઈ પણ કામ કરાવવા માટે રિશ્વત ન આપવી પડે અને બેરોજગારી દૂર થાય અને લોકોને રોજગાર મળતો રહે તેવા મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી શકે છે.