રાજકોટમાં પ્રોફેસર પુત્રએ નિવૃત શિક્ષિકા માતાને ચોથા માળેથી ફેંકી હત્યા નીપજાવી હતી. આ બનાવને લઇ સમાજમાં પુત્ર પર ફિટકાર વરસી રહ્યો છે. ત્રણ મહિના પહેલા માતાએ ચોથા માળેથી પડતુ મુકી બનાવ આત્મહત્યામાં ખપાવી દીધો હતો. પરંતુ નનામા ફોન અને અરજીએ ભાંડો ફોડ્યો હતો. અંતે પોલીસે પુત્રને ઝડપ્યો ત્યારે બોલી ઉઠ્યો હતો કે, પત્ની અને માતા વચ્ચે અવારનવાર થતા ઝઘડાને લઇને હું કંટાળી થાકી ગયો હતો આથી માતાને ચોથા માળેથી ફેંકી દીધી હતી.માતા જયશ્રીબેન પડી ગયાનું પાડોશીએ જાણ કરતા પુત્ર સંદિપ તુરંત જ નીચે ઉતર્યો હતો. પરંતુ ઘરમાં રહેલી સંદિપની પત્ની અડધો કલાક સુધી ઘરમાંથી બહાર જ નહોતી આવી. જ્યારે જયશ્રીબેનને લોહીલૂહાણ હાલતમાં દીકરીએ જોઇ ત્યારે ભાઇ સંદિપને ત્યાં જ બે ત્રણ ફડાકા ઝીંકી લીધા હતા. પરંતુ સંદિપની આંખમાંથી એક આંસુ નહોતુ સર્યું પરંતુ પોલીસની પૂછપરછમાં સંદિપ પોક મુકી રડી પડ્યો હતો.ગત તા.૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ નાણાવટી ચોક નજીક આવેલા દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત્ત શિક્ષિકા જયશ્રીબેન મથુરદાસ નથવાણી (ઉ.વ.૬૪)નું તેમના ચાર માળના એપાર્ટમેન્ટની અગાસી પરથી પડી જતાં મૃત્યુ થયું હતું. તે સમયે તેમના પુત્ર સંદીપ નથવાણીએ તેમની માતાએ બિમારીથી કંટાળી અગાસી પરથી પડતું મુકી આપઘાત કર્યાનું જણાવ્યું હતું અને પોલીસ માની પણ ગઇ હતી. પરંતુ ત્યારબાદ એક મહિના પહેલાં પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતા બિપીનભાઇ પટેલને મળેલી માહિતી અને સાથે જ મળેલા એક નનામાં પત્રમાં આ ઘટના આત્મહત્યાની નહીં પરંતુ હત્યાની હોવાનું અને તે હત્યા તેના જ પુત્ર મોદી ફાર્મસી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા સંદીપે કરી હોવાની શંકા વ્યક્ત થયા બાદ ડીસીપી કરણરાજ વાઘેલાએ સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજે કરી કરેલી તપાસમાં એ શંકા સાચી ઠરી હતી. પુત્ર સંદીપે પોતાની માતાની હત્યા કર્યાની કબૂલાત આપી હતી અને ત્યારબાદ છાતીના દુઃખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થઇ ગયો હતો.
પાછલી પોસ્ટ