કાંકરિયા લેકફ્રન્ટ પ્રોજેકટનો સને ૨૦૦૯માં શુભારંભ થયો ત્યારબાદ રાજ્ય સરકારની સહાયથી બીજી ટ્રેન લાવવામાં આવી હતી, જેને સ્વર્ણિમ જયંતી એક્સપ્રેસ નામ આપવામાં આવ્યુ હતું. લગભગ ૧૧-૧૨ વર્ષનાં સમયગાળામાં લેકફ્રન્ટમાં નાખવામાં આવેલાં પાટા કટાઇ-ખવાઇ ગયેલા જાેવા મળતા હતા અને સને ૨૦૧૯માં તો ટ્રેન ખડી પડે તેવો ભય વ્યકત થતાં પાટા રિપેરિંગ માટે ટ્રેન બંધ રાખવી પડી હતી.મ્યુનિ.તંત્રની ફરજિયાત અને મરજીયાત સેવાઓની વાતો થાય છે, પરંતુ બહુમતિનાં જાેરે અને નાગરિકોનાં નામે ભાજપ અને અધિકારીઓને મરજીયાત સેવા પાછળ કરોડોનો ખર્ચ કરવામાં વધુ રસ હોય છે. કાંકરિયા લેકફ્રન્ટનાં નિર્માણ બાદ વર્ષો સુધી તેનાં હિસાબ મળતા નહોતા અને કેટલા રૂપિયા રિકવરી કરી તેની કોઇ વિગતો નથી જાહેર કરાતી. તેવી જ રીતે લેકફ્રન્ટનાં નિર્માણમાં અનેક નિષ્ણાતોને રોકવામાં આવ્યા હતા, તેમણે ટોય ટ્રેન માટે પાટા નાખ્યા ત્યાં વરસાદી પાણી ભરાઇ રહેશે, કચરો ભરાઇ રહેશે તેવું વિચાર્યુ નહોતુ, તેના કારણે હવે પાટા નીચે ડ્રેનેજ લાઇનનો ખર્ચ કરવો પડશે. તેવી જ રીતે બિનસત્તાવાર સૂત્રોએ ટોય ટ્રેનનું સંચાલન કરતી કંપની જ પાટા નાખવાનું કામ કરશે તેવો દાવો કરતાં કોણ કોને કમાણી કરાવી આપવા માંગે છે તેવો સવાલ કર્યો હતો. શહેરીજનોના હરવાફરવાનાં અને મનોરંજનનાં સ્થળ તરીકે ખ્યાતિ પામેલાં કાંકરિયા લેકફ્રન્ટમાં બાળકોના આકર્ષણ સમી મિની ટ્રોય ટ્રેનનાં પાટા બદલવા પાછળ ચાર કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવનાર છે, તે જાેતાં ટોય ટ્રેનની આવક કરતાં જાવક વધી ગઇ તેમ પૂરવાર થયું છે. મ્યુનિ. સૂત્રોમાથી પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કાંકરિયા તળાવની કાયાપલટ કરાવી હતી, જેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો હતો. આ પ્રોજેકટને કાંકરિયા લેકફ્રન્ટ નામ અપાયુ હતુ. કાંકરિયા લેકફ્રન્ટમાં જે તે સમયે એક કરોડનાં ખર્ચે રેલ્વેનાં પાટા ખરીદવામાં આવ્યા હતા તથા છ કરોડનાં ખર્ચે ટ્રેન લાવવામાં આવી હતી. જેનું ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ મ્યુનિ.એ જાતે કરવાને બદલે એક કંપનીને કામગીરી સોંપી દીધી હતી. આખરે કાંકરિયા લેકફ્રન્ટનાં સાડા ચાર કિલોમીટર લંબાઇનાં પાટા હવે નહિ ચાલે તેવા રિપોર્ટ બાદ મ્યુનિ.નાં ઉચ્ચ અધિકારીઓએ સૌપ્રથમ ભારતીય રેલવેનો સંપર્ક કરીને નેરોગેજ રેલનાં પાટા આપવા અનુરોધ કરતાં રેલવે દ્વારા ૪૮.૫૮ કરોડની કિંમતે પાટા તથા ૫.૩૫ લાખનાં ખર્ચે ફીશ પ્લેટ વગેરે આપવા સંમતિ દર્શાવવામાં આવી હતી. રેલવેનાં પાટા મળી જતાં મ્યુનિ.ઇજનેર ખાતાએ કાંકરીયા લેકફ્રન્ટમાં જૂના કટાયેલાં પાટા કાઢીને ત્યાં વરસાદી પાણીનાં નિકાલ માટે ડ્રેનેજ લાઇન નાખી કેચપીટ બનાવવા તેમજ પાટા લગાવવા માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. જેના માટે ખોડલ કોર્પોરેશન નામના એક કોન્ટ્રાકટરે ૧૬.૧૭ ટકા ઊંચા ભાવનું ૩.૯૨ કરોડનું ટેન્ડર ભર્યુ હતું. જેને ભાજપ શાસિત રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ ચૂપચાપ મંજૂર કરી દીધું છે. આ દરખાસ્ત મંજૂર થયાં બાદ ભાજપનાં જ કેટલાક કોર્પોરેટરોએ સ્વીકાર્યુ હતું કે, કાંકરિયા લેકફ્રન્ટ કમાણી માટે નથી બનાવ્યું પરંતુ તેમાં ખોટ તો ના થવી જાેઇએ, પરંતુ કાંકરિયા લેકફ્રન્ટમાં અનેક રાઇડસ, એક્ટિવિટી કોન્ટ્રાક્ટરો માટે જ ચાલતી હોય તેમ લાગી રહ્યું છે. આ બન્ને ટોય ટ્રેન ખરીદવાથી માંડીને આજદિન સુધી તેનાં સંચાલન પાછળનો કુલ ખર્ચો ગણવામાં આવે અને તેની સામે તેની આવક ગણવામાં આવે તો મ્યુનિ.ને સરવાળે જંગી નુકસાન જ થયું છે.
આગળની પોસ્ટ