વિજયસિંહ સોલંકી, પંચમહાલ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આજે દેશના વિવિધ રાજ્યોમાં પી.એમ.કેર અંતર્ગત દેશના વિવિધ સ્થળોએ પી.એસ.એ. પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે હેઠળ પંચમહાલ જિલ્લામાં પણ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે એક પી.એસ.એ. પ્લાન્ટનું ઈ-લોકાર્પણ યોજાયું હતું. આ પ્રસંગે ગોધરાના સરદારનગર ખંડ ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. સંક્રમણની બીજી લહેરમાં ઉભી થયેલ ઓક્સિજનની માંગને ધ્યાનમાં રાખીને આગોતરા આયોજનના ભાગરૂપે દેશભરમાં પી.એસ.એ. પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે તેમ જણાવી વિધાનસભા ઉપાધ્યક્ષએ પંચમહાલ જિલ્લામાં પણ 11 પી.એસ.એ. પ્લાન્ટ સ્થાપવાનું આયોજન છે, જે પૈકી 8 પ્લાન્ટ સ્થપાઈ ચૂક્યા છે. સિવિલ હોસ્પિટલ, ગોધરા ખાતે 80 લાખના ખર્ચે સ્થપાયેલા અને આજે લોકાર્પણ કરાયેલ 1000 લિટર પ્રતિ મિનીટની ક્ષમતાના પી.એસ.એ. પ્લાન્ટ થકી 100 જેટલા બેડના દર્દીઓને ઓક્સિજન પૂરો પાડી શકાશે આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ સહિતના વરિષ્ઠ પદાધિકારીઓ તેમજ જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ બી. રાઠોડ, ડાયરેક્ટર એઈડ્સ કન્ટ્રોલ રાજેશ ગોપાલ, સીડીએચઓ ડો. મિનાક્ષી ચૌહાણ, સીડીએમઓ ડો. મોના પંડ્યા સહિતના અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.