સુરેશ ત્રિવેદી, ભાવનગર
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ગાંધીનગરની પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી – પી ડી ઈ યુ ખાતે લેસર થ્રી-ડી મેટલ પ્રિન્ટરનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે “એડવાન્સ ટેકનોલોજી” અને “સ્કીલ બેઇઝ્ડ લર્નિંગ” આત્મનિર્ભર ભારતને વધુ મજબૂત બનાવશે.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલાં રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ થ્રી-ડી પ્રિન્ટિંગને આજના સમયની આવશ્યકતા ગણાવી જણાવ્યું હતું કે, “ટેકનોલોજીકલી એડવાન્સ” થઈને યુવાનો આત્મનિર્ભર ભારતના નિર્માણને નવી દિશા આપશે. તેમણે ઔદ્યોગિક ક્ષેત્રે ઇનોવેશનને આશીર્વાદરૂપ ગણાવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં પી ડી ઈ યુના ડિરેક્ટર જનરલ ડૉ. સુંદર મનોહરે જણાવ્યું હતું કે, અદ્યતન ટેકનોલોજી દ્વારા શિક્ષકો વિકાસલક્ષી પરિવર્તન કરી શકે છે. તેમણે “ઇન્ડસ્ટ્રી રેડી ટેકનોલોજી”ની હિમાયત કરીને ક્લાસરૂપ લર્નિંગની સાથે સ્કીલ બેઈઝડ લર્નિંગ ઉપર પણ ભાર મૂક્યો હતો. તેમણે એડિટીવ મેન્યુફેકચરિંગ અને એડવાન્સ્ડ મટીરિયલ્સ વિષયક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સને મહત્વપૂર્ણ ગણાવી હતી.
આ પ્રસંગે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, મિશ્ર ધાતુ નિગમના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. એસ. કે. જ્હા તેમજ ન્યુક્લિયર ફ્યુઅલ કોમ્પ્લેક્સના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ડૉ. શ્રીવાસ્તવ સહિતના મહાનુભાવો, વિષય નિષ્ણાંતો અને ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યાં હતા.