પશ્ચિમ બંગાળાં અખાતમાં સર્જાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની તીવ્રતા ગુજરાતનાં દરિયા કાંઠા સુધી પહોંચતા વધી હતી. આજે મેટ ડિપાર્ટમેન્ટનાં જણાવ્યા મુજબ ‘શાહીન’ વાવાઝોડું ફંટાઈને કચ્છના અખાતમાંથી પાકિસ્તાનના મકરાન કોસ્ટ સુધી પહોંચશે જેથી હવે ગુજરાતનાં માથેથી ખતરો ટળી ગયો છે. ખતરો ભલે ટળી ગયો હોય પણ દરિયા કિનારા પર ન જવા માટેની ચેતવણી આપવામાં આવી છે તેમજ માછીમારોને પણ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.
આમ ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ઘટી ગયો છે. વાવાઝોડાને કારણે તંત્ર દ્વારા દરિયાકિનારા પર ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે, સાથે સાથે માછીમારોને પણ દરિયામાં ન જવા માટે એલર્ટ કરવામાં આવ્યું છે.આજે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ અને દાદરા નગર હવેલીમાં ૬૦ કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે.
આજે વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ૪૫ થી ૭૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાશે. ૧ ઓક્ટોબરે ‘શાહીન’ ચક્રવાનું રૂપ ધારણ કરશે ત્યારબાદ ૧૦૦ કિ.મી.ની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં વિસ્તારોમાં આની અસર સ્પષ્ટ દેખાશે.સુરત, વલસાડ, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, પાટણ, મોરબી, દ્વારકા, પોરબંદર, ખેડા તથા ગાંધીનગરમાં એક એક ટીમ ડિપ્લોઇ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વરસાદને કારણે મુખ્ય ૬ અન્ય ૩, પંચાયત હસ્તકના ૧૯૭ અને એક નેશનલ હાઈવે સહિત કુલ ૨૦૭ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંઘ કરી દેવામાં આવ્યાં છે. તે ઉપરાંત રાજ્યના ૫૭ ગામોમાં વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાયો છે.