જમ્મુ કાશ્મીરના પુલવામામાંં આજે સવારે થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઠાર થયેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. એન્કાઉન્ટર પુલવામાંના તહાબ વિસ્તારમાં થતા સનસનાટી મચી ગઇ હતી. બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઇને ઓપરેશન હાથ ધર્યુ હતુ. છેલ્લા કેટલાક મહિનામાં કાશ્મીરમાં ઘુસણખોરી અને અથડામણની ઘટનામાં ઝડપથી વધારો થયો છે. પોલીસ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ આ વર્ષે ૧૨મી જુલાઈ સુધી ૧૦૨ ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યાછે. છેલ્લા સાત વર્ષમાં સૌથી વધુ ત્રાસવાદીઓ માર્યા ગયા છે. સર્ચ ઓપરેશનની પ્રક્રિયા હજુ ચાલી રહી છે. જમ્મુ કાશ્મીરના ડીજીપી એસપી વૈદ્યએ માહિતી આપતા કહ્યું હતું કે, પુલવામામાં બે ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે. શરૂઆતી રિપોર્ટમાં કહેવા મુજબ બંને ત્રાસવાદીઓ હિઝબુલ મુઝાહિદ્દીનના હતા. ૧૨ રાષ્ટ્રીય રાઇફલના કમાન્ડર હરબીરસિંહે વિગત આપતા કહ્યું છે કે, અમને મોટી સફળતા હાથ લાગી છે. ત્રાસવાદીઓ અધિકારીઓ અને નેતાઓને ધાકધમકી આપી રહ્યા હતા. સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે ૧૨મી જુલાઈ સુધી ૧૦૨ ત્રાસવાદીઓને ઠાર કર્યા છે. ગયા વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીની અવધિમાં સૌથી વધુ ત્રાસવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ લશ્કરે તોઇબા અને જૈશે મોહમ્મદ તેમજ હિઝબુલની સાથે જોડાયેલા કેટલાક ત્રાસવાદીઓની યાદી તૈયાર કરી લીધી છે. જૂન મહિનામાં સેનાએ જમ્મુ કાશ્મીરમાં ૧૨ ત્રાસવાદીઓની હિટલિસ્ટ જારી કરી હતી. સુરક્ષા દળોએ આ ત્રાસવાદીઓની સામે જોરદાર ઓપરેશન હાથધર્યું છે જેના ભાગરુપે આજે વધુ બે ત્રાસવાદીઓ ફૂંકાયા હતા. આ ત્રાસવાદીઓમા નામ અને ફોટા જારી કરવામાં આવ્યા છે. આ ત્રાસવાદીઓ કયા વિસ્તારમાં સક્રિય છે તેની યાદી પણ જારી કરવામાં આવી હતી. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં રાજ્ય પોલીસે હાલમાં ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુઝાહીદ્દીનના મોટા ભરતી રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ રેકેટને ચલાવવામાં મુખ્ય ભૂમિકા હિઝબુલના ત્રાસવાદી લીડર અને કમાન્ડર પરવેઝ વાનીની હતી. કુપવારા જિલ્લાના હેન્ડવારા વિસ્તારનો આ કુખ્યાત ત્રાસવાદી છેલ્લા કેટલાક સમયથી ભરતી રેકેટ ચલાવી રહ્યો હોવાની વિગત સપાટી પર આવી રહી છે. પોલીસે કહ્યુ છે કે બાતમી મળ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ભરતી રેકેટમાં ફસાઇ જનાર યુવાનોને ત્રાસવાદી કેમ્પમાં ટ્રેનિંગ માટે મોકલી દેવામાં આવતા હતા. પોલીસના કહેવા મુજબ અટકાયતમાં લેવામા ંઆવેલા ત્રણ ખતરનાક શખ્સો પૈકી એક અબ્દુલ રાશિદ ભટ્ટ મે મહિનામાં પાકિસ્તાન જઇને આવ્યો હતો.
આગળની પોસ્ટ