વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં સ્વચ્છ ભારત અભિયાનનો પ્રચાર પ્રસાર કરતા બિહારનાં ઔરંગાબાદમાં જિલ્લાધિકારી કંવલ તનુજે કંઈક એવું કહી દીધુ કે જેનાથી વિવાદ ફેલાઈ ગયો છે. એક રેલીનું સંબોધન કરતા પોતાના ભાષણ વચ્ચે જ કંવલ તનુજે એક વ્યક્તિને વાંધાજનક અને વિવાદાસ્પદ સલાહ આપી દીધી હતી. ન્યૂઝ એજન્સી ઓએનઆઈનાં જણાવ્યા પ્રમાણે, ઘરમાં ટૉયલેટ બનાવવા માટે એક ગરીબ વ્યક્તિને પોતાની પત્નીને વેચી નાખીને પણ ટૉયલેટ બનાવવાની સલાહ આપી છે. તેમણે પોતાના ભાષણ વચ્ચે કહ્યું કે જે લોકો પોતાના ઘરમાં શૌચાલય બનાવી શકવા માટે સક્ષમ ના હોય, તેઓ પોતાની પત્નીને વેચી આવે. તનુજે કહ્યું કે ટૉયલેટની અછતનાં કારણે સ્ત્રીઓ પર બળાત્કાર થઈ રહ્યો છે અને તેમને હેરાન કરવામાં આવે છે. એક શૌચાલય બનાવવા માટે ૧૨ હજાર રૂપિયાનો ખર્ચો આવે છે. શું ૧૨ હજાર રૂપિયા કોઈ સ્ત્રીની ઈજ્જત કરતા વધારે છે? કયો વ્યક્તિ એવો હશે કે જે એવું કહેશે કે મારી પત્નીની ઈજ્જત લઈ લો પણ મને ૧૨ હજાર રૂપિયા આપી દો.