લોકસભા ચૂંટણી આડે હવે ૧૦ મહિનાથી પણ ઓછો સમય રહી ગયો છે ત્યારે તમામ પાર્ટી પોત પોતાની તૈયારીમાં લાગેલી છે. જો કે હજુ સુધી સૌથી આગળ ભારતીય જનતા પાર્ટી દેખાઇ રહી છે. રાજકીય રીતે સૌથી મહત્વપૂર્ણ ગણાતા ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે સક્રિય છે. જનસભા અને રેલીઓ મારફતે જનતાના દિલને જીતવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભાજપના આ પ્રયાસો જોરદાર રીતે ચાલી રહ્યા છે. બીજી બાજુ સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના લોકો હજુ સીધી રીતે જોડાઇ રહ્યા નથી. તમામ રાજકીય પાર્ટીઓની નજર મુખ્યરીતે ઉત્તરપ્રદેશ પર કેન્દ્રિત છે. વિરોધ પક્ષોની તૈયારી હજુ ઉદાસીન દેખાઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પ્રદેશમાં એક પછી એક રેલી કરી રહ્યા છે. મિશન ૨૦૧૯ને પાર પાડવા માટે તેમના દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. બીજી બાજુ ૫૦ કિલોમીટરની દરરોજની યાત્રા કરવાનો દાવો કરનાર સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ હજુ ુસધી ટ્વીટર પર જ સક્રિય દેખાઇ રહ્યા છે. સાયકલ ચલાવવાની વાત કરનાર અખિલેશ ઓછા સક્રિય દેખાઇ રહ્યા છે. બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતી પણ પ્રેસ નોટ અને પ્રેસને લઇને જ વ્યસ્ત છે. કોંગ્રેસી નેતાઓ ઓફિસના ચક્કર લગાવી રહ્યા છે. રાજકીય નિષ્ણાંતોની વાત માનવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ પેટાચૂંટણીમાં મળેલી હારને ખુબ જ ગંભીરતાથી લીધી છે. જેથી મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથથી લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પ્રજાની વચ્ચે જઇ રહ્યા છે. તેઓ અબજોની યોજનાના શિલાન્યાસ અને લોકાર્પણ કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૯ની ચૂંટણીની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. વિકાસની યોજનાઓની શરૂઆત કરીને વિપક્ષી દળો પર પ્રહારો કરવા માટે તૈયાર છે. સાથે સાથે સરકારની સિદ્ધીઓને પણ રજૂ કરવામાં આવી રહી છે. ભાજપે ચૂંટણીમાં જીત મેળવી લેવા માટે ૫૧ ટકા મતદારોને પોતાની તરફેણમાં કરી લેવા માટેની યોજના તૈયાર કરી છે. જેના માટે દિન રાત એક કરી રહ્યા છે. ભાજપના લોકો ભલે જોરદાર રીતે પ્રચારમાં લાગેલા છે પરંતુ માયાવતી અને અખિલેશ સક્રિય દેખાઇ રહ્યા નથી. જમીની સ્તર પર બહુજન સમાજ પાર્ટી દ્વારા પ્રચારની શરૂઆત હજુ સુધી કરવામાં આવી નથી. તેમના જાતિ ગણિત પર વિશ્વાસની સ્થિતી દેખાઇ રહી નથી. જાણકાર લોકો કહી રહ્યા છે કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સાથે ગઠબંધનને લઇને વાત ચાલી રહી છે. આ સંબંધમાં ચિત્ર સ્પષ્ટ થઇ ગયા બાદ ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવનાર છે. બીજી બાજુ બહુજન સમાજવાદી પાર્ટીમાંથી કેટલાક નેતા નિકળી જતા ફટકો પડ્યો છે. પાર્ટીમાંથી સ્વામી પ્રસાદ મૌર્ય અને નસીમુદ્દીન સિદ્ધીકી નિકળી જતા માયાવતી પરેશાન છે. કોંગ્રેસ પાર્ટીમાં તો રાહુલ ગાંધી સિવાય કોઇ નેતા સક્રિય દેખાઇ રહ્યા નથી. રાહુલ ગાંધી ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે અને તક મળતા લોકોની વચ્ચે પણ પહોંચી રહ્યા છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર અને જિતિન પ્રસાદ કેટલીક વખતે ચોક્કસપણે ધરણા પ્રદર્શન કરતા નજરે પડી જાય છે. બાકીના નેતાઓ તો દેખાતા જ નથી. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની પાસે હાલમાં જમીની સ્તરની કોઇ ટીમ જ નથી. સાથે સાથે સક્રિય કાર્યકરો પણ નથી. જેના પરિણામસ્વરૂપે કોંગ્રેસના નેતાઓ માત્ર ઓફિસ સુધી મર્યાદિત રહે છે. હજુ સુધી ભારતીય જનતા પાર્ટીના લોકો પ્રજાની વચ્ચે સૌથી વધારે સક્રિય દેખાઇ છે. સરકારી યોજનાઓને પ્રજાની વચ્ચે લઇને જવાય છે. જેથી ભાજપની લીડ અન્ય પાર્ટી પર સ્પષ્ટ દેખાય છે. સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને બસપને પ્રજાની વચ્ચે જવાની તાકીદની જરૂર દેખાઇ રહી છે. ઉત્તરપ્રદેશ રાજકીય રીતે સૌથી ઉપયોગી છે.
આગળની પોસ્ટ