ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેને ધ્યાને લઈ રાજ્યમાં કોરોનાના સંક્રમણને અટકાવવા ગૃહ વિભાગ દ્વારા તા. ૯-૬-૨૦૨૧ ના રોજ કરવામાં આવેલ નવા હુકમ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોવિડ-૧૯ સબબ કેટલાક નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે.
જેને ધ્યાને લઈ સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન. ડી. ઝાલાએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી જિલ્લાના તમામ વિસ્તારોમાં કેટલાક નિયંત્રણો ફરમાવ્યા છે. આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા.૧૦-૭-૨૦૨૧ સુધીના સમયગાળા દરમિયાન અઠવાડીક ગુજરી, બજાર, હાટ, કટીંગ સલુન, બ્યુટી પાર્લર, તમામ દુકાનો, વાણીજયક સંસ્થાઓ, લારી- ગલ્લાઓ તેમજ અન્ય વ્યાપારિક ગતીવિધી સાથે સંકળાયેલ માલિકો અને કર્મચારીઓએ રસીનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા એકમો ચાલુ રાખી શકાશે નહીં, જીમ ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે, જાહેર બાગ – બગીચા રાત્રીના ૯-૦૦ કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઈડલાઇનનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે, આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૧૦૦ વ્યકિતઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઈ યથાવત રહેશે.
આ ઉપરાંત અંતિમ ક્રિયા-દફનવિધિ માટે મહત્તમ ૪૦ વ્યકિતઓની મંજુરી રહેશે, તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો ખુલ્લામાં મહત્તમ ૨૦૦ વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળો પર ક્ષમતાના ૫૦% વ્યક્તિઓની મર્યાદામાં કોરોના ગાઈડલાઇનનું પાલન કરવાની શરતે યોજી શકાશે, IELTS તથા TOEFET જેવી પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે યોજી શકાશે, વાંચનાલયો ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે, પ્રેક્ષકોની ઉપસ્થિતી વગર સ્પોર્ટસ કોમ્પલેક્ષ – સ્પોર્ટસ સ્ટેડીયમ – સંકુલમાં પ્રેક્ષકો વગર રમત-ગમત ચાલુ રાખી શકાશે, પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૭૫% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઈન શિક્ષણ સિવાય), વોટર પાર્ક, સ્પા, સ્વિમિંગ પુલ બંધ રહેશે, સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ અને મનોરંજન સ્થળો મહત્તમ ૫૦% કેપીસીટીમાં ચાલુ રાખી શકાશે
વધુમાં જણાવ્યા મુજબ અન્ય રાજ્યોમાંથી સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશ કરતા મુસાફરોને RT-PCR Test સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે, તમામે ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેમજ આ સમયગાળા દરમિયાન કોવિડ સંબંધિત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અન્ય સૂચનાઓ યથાવત રહેશે અને તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.