મહેશ અસોડીયા, મહેસાણા
મહેસાણા જિલ્લાની સામાન્ય જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવી જિલ્લાની વિકાસની ગતિને આગળ વધારવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં કલેક્ટરશ્રી ઉદિત અગ્રવાલે જિલ્લા કલેકટર તરીકે વિધિવત રીતે કલેક્ટર તરીકેનો આજ રોજ ચાર્જ સંભાળી લીધો છે.
ચાર્જ સંભાળ્યાં બાદ નવનિયુક્ત કલેક્ટરશ્રી ઉદિત અગ્રવાલે જિલ્લાના નાગરિકોની સમસ્યાઓને વાચા આપીને તેમના પ્રશ્નોનું સુખદ સમાધાન કરીને જિલ્લાની વિકાસ ગતિને આગળ વધારવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે.
જિલ્લા કલેકટરશ્રી ઉદિત અગ્રવાલે ઉમેર્યું હતું કે મારી અગાઉના પુરોગામીઓએ સારું કાર્ય કરેલું છે તેને વધુ ઉંચાઇ પર લઇ જવાની મારી જવાબદારી રહેશે. અગાઉ જે વિકાસના કાર્યો ચાલું હતાં તેમાં ગતિ લાવીને તે ઝડપથી પુરા થાય અને લોક ઉપયોગી બને તે મારી પ્રાથમિકતા રહેશે.
કલેક્ટરશ્રીએ વધુમાં ઉમેર્યું કે, અત્યારે કોરોનાકાળ ચાલી રહ્યો છે અને કોરોનાના વરવાં પરિણામો આપણે જોયાં છે.તેથી કોરોનાની સારવારને લગતી વ્યવસ્થા સુદ્ઢ રીતે ચાલે, તેનું યોગ્ય મોનીટરિંગ થાય અને લોકોને ઉત્તમ સારવાર મળે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાને પ્રાથમિકતા આપીશ.આ ઉપરાંત નાગરિકોને રસીકરણ બાબતે જાગૃતિ લાવવા અનુંરોધ કર્યો હતો
મહેસાણા જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ છેલ્લા પોણા બે વર્ષથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સુપેરે કામગીરી કરી છે. મુળ દિલ્હીના અને ૨૩ મે ૧૯૮૨ના રોજ જન્મેલા કલેકટર ઉદિત અગ્રવાલ વર્ષ ૨૦૦૮ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે. જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે આ અગાઉ ભરૂચમાં સુપરન્યુમરેરી મદદનીશ કલેકટર,પાલીતણામાં મદદનીશ કલેકટર,અમદાવાદ અને વલસાડમાં વિકાસ અધિકારી,સુરેન્દ્રનગર અને પંચમહાલમાં જિલ્લા કલેકટર તરીકે શ્રેષ્ઠત્મ કામગીરી કરી છે.