સુરેશ ત્રિવેદી, ભાવનગર
તાઉતે વાવાઝોડાએ વ્યાપક વિનાશ વેર્યા બાદ સરકારે ખેડૂતોને સહાય ચૂકકવાનું શરૂ કર્યું છે એ સાથે ખેડૂતોમાં અસંતોષ, નારાજગી અને કચવાટ બહાર આવ્યો છે. ભાવનગર તાલુકાના ભંડારિયા ગામે ભોગગ્રસ્ત પૈકીના એક ખેડૂતને ચાર વિઘા જમીનમાં ઉભેલો કેળનો પાક તારાજ થતા આજે તેને નુક્શાનીના સહાય પેટે રૂ.15,800/- અપાતા ખેડૂતે આ સહાય મશ્કરી રૂપ ગણાવી અન્યાય થયાની લાગણી વ્યક્ત કરાઇ છે.
ભંડારિયામાં ખેડૂત હરસુખભાઈ પરષોત્તમભાઈ ઘોરીએ ચાર વિઘા જમીનમાં કેળનું વાવેતર કર્યું હતું. કેળનો પાક તૈયાર થઈ પ્રથમ ફાલ પણ આવ્યો હતો ત્યાં વાવાઝોડું ત્રાટકતા નાજુક કેળનો પાક જમીનદોસ્ત થઈ ગયો હતો. ખેડૂત હરસુખભાઈ ઘોરીના જણાવ્યાનુસાર વાવાઝોડા બાદ સર્વે કરવા તંત્રના માણસો આવ્યા હતા જેને વિગતો નોંધાવી હતી. ચાર વિઘા જમીનમાં 3 હજાર કેળ ઉભી હતી જે વાવાઝોડામાં ભારે નુક્શાનગ્રસ્ત થઈ હતી. કેળનો પાક નાશ થયો તેને વાડીમાંથી દૂર કરતા 15 દિવસ થયા. આ પાછળ દાડિયાનો ખર્ચ થયો તે સરકારે ચૂકવેલ કુલ સહાય જેટલો છે. વધુમાં કેળનો એક રોપ રૂ.15નો થાય છે બાદમાં તેની પાછળ મહેનત, મજૂરી ચડે તે અલગ. પરંતુ વળતરની રકમ મળી છે તેમાં કોઈ ગણતરી કરાઈ નથી. બેક ખાતામાં માત્ર રૂ.15,800/- (પંદર હજારને આઠસો) જમા મળ્યા છે. આ વળતર મશકરીરૂપ હોવાનો રોષ તેમણે ઠાલવ્યો છે. માત્ર મારી સાથે નહિ પરંતુ અન્ય ખેડૂતો સાથે પણ અન્યાય થયો છે. તે દરેક વ્યથિત છે તેમ જણાવ્યું હતું.
અન્ય એક કિસ્સામાં ખેડૂત બાબુભાઇ મેઘાભાઈ ઘોરીએ 3 વિઘા જમીનમાં આંબા ઉછેરેલ. 40 પૈકી 15 આંબા પડી ગયા હતા તેનું વળતર રૂ. 14,400 (ચવ્વુદ હજારને ચારસો) ચૂકવાયું છે. આ સામે પણ ખેડૂતમાં કચવાટ વ્યાપેલ છે. આ બે ખેડૂત માત્ર દાખલારૂપ છે. બાકી વળતર મામલે મોટાભાગના ખેડૂતો નારાજ છે અને કચવાટ વ્યાપ્યો છે. તેમ જાણવા મળ્યું છે. આ સામે તંત્ર વાહકોએ સરકારે નક્કી કરેલ ધારાધોરણ મુજબ સહાય ચૂકવાઈ હોવાનું અને સર્વેમાં કોઈ દોષ નહિ હોવાનું સ્પષ્ટ કર્યું હતું.!