અલગ ગોરખાલેન્ડની માંગને લઇને દેખાવ કરી રહેલા ગોરખા જનમુક્તિ મોરચા દ્વારા સશસ્ત્ર આંદોલન ચલાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. ગોરખા જનમુક્તિ મોરચા માઓવાદીઓની મદદથી સશસ્ત્ર આંદોલન કરવાની તૈયારીમાં છે. બંગાળ પોલીસ દ્વારા આજે આ મુજબની વાત કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે, અમને ગુપ્તચર માહિતી મળી છે જેમાં જાણવા મળ્યું છે કે, ગોરખા જનમુક્તિ મોરચાએ પડોશી વિસ્તારોમાંથી બંડખોરોને ભાડા ઉપર લઇ લીધા છે. આ લોકો સ્થિતિને લઇને વધુ જટિલ સ્થિતિ સર્જવા માટે સરકારી સંપત્તિઓ અને પોલીસ અધિકારીઓને ટાર્ગેટ બનાવી શકે છે. જીજેએમના નેતાઓએ માઓવાદીઓ પાસેથી કોઇપણ પ્રકારની મદદ લીધી હોવાના અહેવાલને ફગાવી દીધા છે.
જીજેએમના મહાસચિવ રોશનગીરીએ કહ્યું છે કે, આ બિલકુલ આધારવગરના આક્ષેપ છે. અમારી પ્રતિષ્ઠા ખરાબ કરવા માટે આ પ્રકારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. લોકશાહી આંદોલનને નિષ્ફળ કરવા માટે આ પ્રકારના આંદોલન કરવામાં આવી રહ્યા છે. નામ જાહેર નહીં કરવાની શરતે એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, જીજએમે પોતાના કેડરોને તાલીમ આપવા માટે ૨૫થી ૩૦ માઓવાદીઓને ભાડા ઉપર રોકી દીધા છે. જીજેએમની પાસે મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો હોવાનો દાવો પણ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. છેલ્લા ઘણા વર્ષથી આ હથિયારો અને વિસ્ફોટકો એકત્રિત કરવામાં આવ્યા છે. ૨૦૦૯થી ૨૦૧૨ સુધી બંગાળના વન્ય વિસ્તારમાં અભિયાનોમાં સામેલ રહેલા શખ્સો પણ તેમની સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આવી સ્થિતિમાં જીજેએમના લોકો આગામી દિવસોમાં પડકારરુપ સ્થિતિ સર્જી શકે છે.
પાછલી પોસ્ટ