કોરોનાની મહામારી વચ્ચે રાજ્યના ડૉક્ટરો અને આરોગ્યકર્મી દિવસ રાત એક કરીને દર્દીઓને બચાવવા માટે મહેનત કરી રહ્યા છે. ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ ૧૫થી ૧૮ કલાક સુધી પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આ ઉપરાંત કોરોનાની મહામારી
માં ઘણા ડૉક્ટરો દર્દીની સારવાર કરતા સમયે સંક્રમિત થયા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે અને તેઓ કોરોનાને મહાત આપીને ફરીથી દર્દીની સારવાર કરવા જાેડાયા હોવાના કિસ્સાઓ પણ સામે આવે છે. ત્યારે આવા સમયે અમદાવાદમાં કોરોનાના દર્દી સારવાર કરી રહેલા ૩૦૦ ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ પર શું અસર થઈ છે તે જાણવા માટે ૧ સ્ટડી કરવામાં આવી હતી. આ સ્ટડી દરમિયાન ઘણા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે.
રિપોર્ટ અનુસાર કોરોનાની બીજી લહેરમાં કેસોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો હતો. હોસ્પિટલની બહાર દર્દીઓની લાંબી લાઈનો જાેવા મળી હતી એટલે દર્દીઓને સારવાર મેળવવા માટે પણ વેઇટિંગમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો. કોરોનાની બીજી લહેર દરમિયાન સંક્રમિત દર્દીઓની સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફ ખડેપગે રહીને કરી રહ્યા હતા. આ મહામારીના કારણે ડૉક્ટરોને કેટલી માનસિક સમસ્યા છે તે અંગે સિવિલ હોસ્પિટલનાં માનસિક રોગ વિભાગ દ્વારા એક સ્ટડી કરવામાં આવી હતી. આ સ્ટડી ૧૫૦ નર્સિંગ સ્ટાફ અને ૧૫૦ ડૉક્ટર પર કરવામાં આવી હતી.
સ્ટડી દરમિયાન જાણવા મળ્યું હતું કે ૧૫૦ ડૉક્ટરમાંથી ૭૮% ડૉક્ટરો માનસિક તણાવમાં છે અને ૩૮ ટકા નર્સ પણ માનસિક તણાવ અને ટ્રેનો ભોગ બન્યા છે. આ ઉપરાંત કોરોનાની મહામારી વચ્ચે કોરોના વોરિયર્સ કહેવાતા ડૉક્ટર અને આરોગ્ય કર્મીઓને પૂરતી સુવિધા ન મળતી હોવાની પણ અનેક ફરિયાદો સામે આવી છે. ત્યારે આવી સમસ્યાના કારણે ૬૦% ડૉક્ટર અને ૨૮% નર્સિંગ સ્ટાફ એડમિનિસ્ટ્રેશનથી નાખુશ હોવાનું સામે આવ્યુ છે. સ્ટડીમાં એવું પણ સામે આવ્યું છે કે ૯૪% ડડૉક્ટર અને ૨૯ ટકા નર્સિંગ સ્ટાફ એક મહિના કરતાં વધારે સમયથી તેમના પરિવારના સભ્યોથી દૂર રહીને કોરોનાના દર્દીઓની સેવા કરી હતી. સાથે એવો પણ ખુલાસો થયો હતો કે ૯૨.૬૭ ટકા ડૉક્ટરો અને ૯૪.૬૭ ટકા નર્સિંગ સ્ટાફ દર્દીની સારવાર બાદ ખૂબ જ ખુશ થયા છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી વચ્ચે ડૉક્ટરોને પૂરતી સુવિધા ન મળતા તેમને સરકાર સામે આંદોલન કર્યું હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે.
આગળની પોસ્ટ