મોદી સરકાર માટે જનધન યોજના ચિંતાનો વિષય બની ગઈ છે. તમામ પ્રયાસો કરવામાં આવ્યા બાદ પણ જનધનમાં ઝીરો બેલેન્સ એકાઉન્ટ એટલે કે જે ખાતામાં બિલકુલ પણ પૈસા નથી તેમની સંખ્યા વધી રહી છે. નાણામંત્રાલયના સુત્રોના કહેવા મુજબ નોટબંધીને અમલી કરવામાં આવ્યા બાદ આ ખાતામાં એકાએક પૈસા મોટાપાયે જમા થયા હતા. હવે ફરીવાર ઝડપથી ઝીરો બેલેન્સ એકાઉન્ટની સંખ્યા વધી રહી છે. એટલ કે, જમા કરવામાં આવેલા પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે. આંકડાની વાત કરવામાં આવે તો ઓક્ટોબરમાં જનધન સ્કીમમાં કુલ ઝીરો બેલેન્સ કાઉન્ટની સંખ્યા ૫.૯૩ કરોડ હતી જ્યારે ફેબ્રુઆરી સુધી આ સંખ્યા વધીને ૬.૯૦ કરોડ સુધી પહોંચી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઇને નાણા મંત્રાલયમાં બેઠકોનો દોર શરૂ થઇ ચુક્યો છે. સરકારે ટૂંક સમયમાં જ હવે બેંકોની સાથે બેઠક પણ કરનાર છે. ટૂંક સમયમાં જ કોઇ રસ્તો શોધી કાઢવામાં આવશે. બેંકોને હવે સાફ શબ્દોમાં કહી દેવામાં આવ્યું છે કે, તેઓ વધારે સમય સુધી ઝીરો બેલેન્સ વાળા એકાઉન્ટનો બોજ ઉપાડી શકશે નહીં. આ ખાતાને બંધ કરી દેવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી રહી છે. ૧૪મી જૂન ૨૦૧૭ સુધી દેશમાં ૨૮.૯ કરોડ પ્રધાનમંત્રી જનધન ખાતા હતા. આમાથી ૨૩.૨૭ કરોડ બેંક ખાતા સરકારી બેંકોમાં ૪.૭ કરોડ પ્રાદેશિક ક્ષેત્રિય બેંકોમાં અને ૯૨.૭ લાખ ખાતા ખાનગી બેંકોમાં હતા. આ ખાતામાં સંયુક્તરીતે ૬૪૫૬૪ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. સરકારી બેંકોમાં ૫૦૮૦૦ કરોડ રૂપિયા, ક્ષેત્રિય ગ્રામીણ બેંકોમાં ૧૧૬૮૩.૪૨ કરોડ રૂપિયા અને ખાનગી બેંકોમાં ૨૦૮૦.૬૨ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા.