બિહારમાં મહાગઠબંધનામાં વિવાદ વચ્ચે મુખ્યપ્રધાન નીતિશ કુમાર આજે કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા હતા. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં તેમની વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં જુદા જુદા પાસા પર વિચારણા કરવામા ંઆવી હતી. પાર્ટીના સુત્રોએ કહ્યુ હતુ કે નીતિશ કુમારે કોંગ્રેસના નાયબ અધ્યક્ષના તગલુક લેન સ્થિત આવાસ પર બેઠક કરી હતી. બન્ને નેતાઓએ બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ પર મુકવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપો પર ચર્ચા કરી હતી. નીતિશ કુમાર દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સન્માનમાં આપવામાં આવેલી ડિનર પાર્ટીમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. નીતિશ કુમાર અને રાહુલ ગાંધી વચ્ચે મુલાકાત એવા સમયે થઇ છે જ્યારે તેજસ્વીના નીતિશ કેબિનેટમાં રહેવાને લઇને જેડીયુ અને આરજેડી વચ્ચે ગંભીર મતભેદ છે. આ વિવાદના કારણે બિહારમાં મહાગઠબંધન ઉપર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે. મહાગઠબંધનમાં જેડીયુ અને આરજેડી ઉપરાંત કોંગ્રેસ પાર્ટી પણ સામેલ છે. એકબાજુ જ્યાં આરજેડી વડા લાલૂ પ્રસાદ યાદવે પોતાના પુત્ર તેજસ્વીના રાજીનામાની માંગને બિલકુલ સ્પષ્ટપણે ફગાવી દીધી છે. બીજી બાજુ નીતિશકુમાર તેજસ્વીને કેબિનેટમાં રાખવાને લઇને ખુબ જ અસંતુષ્ટ દેખાઈ રહ્યા છે. કારણ કે, આના કારણે તેમની ભ્રષ્ટાચાર વિરોધી છાપ ઉપર અસર થઇ રહી છે. નીતિશકુમાર જેડીયુનું નેતૃત્વ કરે છે અને જેડીયુએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર રામનાથ કોવિંદને સમર્થન આપ્યું હતું જેના કારણે વિપક્ષી એકતાને ફટકો પડ્યો હતો. ૧૮ વિરોધ પક્ષોએ સાથે મળીને મીરાકુમારને મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ તેમની હાર થઇ હતી.
પાછલી પોસ્ટ