Aapnu Gujarat
Uncategorized

કલોલ ૯, દિયોદર ૮, હળવદમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ : જનજીવન ખોરવાયું

અમદાવાદ સહિત રાજયભરમાં આજે મેઘરાજાએ સાર્વત્રિક વરસાદ વરસાવ્યો હતો. આજે રાજયમાં સૌથી વધુ વરસાદ ગાંધીનગરના કલોલમાં નવ ઇંચ સુરેન્દ્રનગરના હવળદમાં દસ ઇંચ તો, બનાસકાંઠાના દિયોદરમાં આઠ ઇંચથી વધુ વરસાદ ખાબકયો હતો. આજે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, વલસાડ સહિત સૌરાષ્ટ્ર પંથક અને કચ્છના વિસ્તારોમાં આજે સારો એવો વરસાદ નોંધાયો હતો. બીજીબાજુ, ચોટીલા-મોરબી, સુરેન્દ્રનગર સહિતના પંથકોમાં જળબંબાકારની દયનીય સ્થિતિ સામે આવી છે. ઠેર-ઠેર તબાહી અને તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. રાજયના ૩૪ જિલ્લાઓમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો તો ચોટીલા,મોરબી, માળિયા મીયાણાં સહિતના પંથકોમાં આજે ૫૦થી વધુ રેસ્કયુ ઓપરેશનો હાથ ધરાયા હતા. સેંકડો લોકોને બચાવાયા હતા તો, આજે પણ હજારો લોકોનું સ્થળાંતર કરાયું હતું. અમદાવાદ જિલ્લાના નવથી વધુ તાલુકામાં આજે ભારે વરસાદ નોંધાતાં ઠેર-ઠેર વરસાદી પાણી ફરી વળ્યા હતા. અમદાવાદના સાણંદ, બાવળા, ધંધુકા, દસ્ક્રોઇ સહિતના તાલુકાઓમાં ચારથી પાંચ ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો હતો. ગઇકાલે ચોટીલા, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી સહિતના પંથકોમાં તો જાણે આભ ફાટયું હતું. ચોટીલામાં ગઇકાલે ૧૬ ઇંચથી વધુ વરસાદ સાથે આભ ફાટવા સાથે સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં આજે મેઘરાજાનું રૌદ્રસ્વરૂપ જોવા મળ્યું હતુ, જેના કારણે ઠેર-ઠેર સર્વત્ર જળપ્રલય સર્જાયો હતો. સેંકડો લોકો ફસાયા હતા, જેઓને કલાકોની ભારે જહેમત બાદ બચાવી લેવાયા હતા, તો દસ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાવાયું હતું. એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયરબ્રિગેડ, સહિતની બચાવ ટીમો સતત કાર્યરત રહી હતી તો, કેટલાક પૂરગ્રસ્ત વિસ્તારોમાં તો, એરફોર્સની મદદ લઇ હેલિકોપ્ટની મદદથી પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવાયા હતા. રાજયમાં આજે સૌથી વધુ રેસ્કયુ ઓપરેશન સૌરાષ્ટ્રમાં મોરબી, વાંકાનેર, ચોટીલા, સુરેન્દ્રનગર, લીંબડી, માળીયામીયાંણા, મચ્છુ આસપાસના ગામો સહિતના વિસ્તારોમાં હાથ ધરાયા હતા. આજે રાજયમાં ગાંધીનગરના કલોલમાં નવ ઇઁચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ હતી. રોડ-રસ્તાઓ અને ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. તો, બનાસકાંઠાના દિયોદરમાં પણ આઠ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સમગ્ર પંથકમાાં પાણી જ પાણી જોવા મળતું હતું. પંથકના તમામ નદી-નાળાઓ છલકાયા હતા. જિલ્લાના ભાભર, અમીરગઢ સહિતના પંથકોમાં પણ ભારે વરસાદ પડયો હતો. તો આજે ખેડા જિલ્લામાં પણ મેઘરાજાએ જોરદાર જમાવટ કરી હતી. ખેડા જિલ્લાના મહુધામાં પાંચ ઇંચથી વધુ, નડિયાદમાં ૪.૫ ઇંચ, મહેમદાવાદ પાંચ ઇંચ, ઠાસરામાં ચાર ઇંચથી વધુ સહિતનો ભારે વરસાદ નોંધાયો હતો. જેના કારણે આ પંથકોમાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. સુરેન્દ્રનગના હળવદ અને તેની આસપાસના પંથકોમાં દસ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર થઇ ગયું હતું. તો પાટણ જિલ્લામાં પણ વરસાદી હેલી વરસી હતી. પાટણના સાંતલપુરમાં છ ઇંચ, રાધનપુરમાં સાત ઇઁચ સહિત પંથકના અન્ય ભાગોમાં પણ ત્રણથી પાંચ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો હતો. સાંતલપુરનું કમાલપુરા ગામ તો બેટમાં ફેરવાયું હતું. મહેસાણા જિલ્લાના માત્ર અડધાકલાકમાં જ વિસનગર અને બહુચરાજીમાં બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર બની ગયુ હતું. આજે વડોદરામાં ચાર થી પાંચ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં વડોદરા શહેર અને જિલ્લાના પંથકોમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.આણંદ, સુરત, વલસાડ, ડાંગ-આહવા ઉપરાંત સૌરાષ્ટ્ર પંથકના અમરેલી, સુરેન્દ્રનગર, ગોંડલ, મોરબી, રાજકોટ સહિતના પંથકોમાં આજે પણ હળવાથી ભારે વરસાદના ઝાપટા નોંધાયા હતા. છેલ્લા બે દિવસના વરસાદી મેઘતાંડવના કારણે સૌરાષ્ટ્ર-ક્ચ્છ પંથકમાં ઠેર-ઠેર નદીઓ ગાંડીતૂર બની હતી તો, ડેમો ઓવરફલો થયા હતા અને તળાવો ફાટયા હતા. રાજયભરમાં આજે પણ ભારે વરસાદને પગલે એસટી અને રેલ વ્યવહારને ભારે અસર પહોંચી હતી.

Related posts

રાજ્યમાં ‘મિનિ-લોકડાઉન’ એક સપ્તાહ લંબાવાયું ઃ ૧૮ મે સુધી રાત્રિ કફ્ર્યૂ

editor

વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણીના અધયક્ષ સ્થાને ગટરમા સફાઈ કરાવી

aapnugujarat

“શ્રી સરસ્વતી શિક્ષણ મહાવિદ્યાલય”નો ભૂતવડ ખાતે થયો શુભારંભ

editor

Leave a Comment

UA-96247877-1