ભારતમાં કોરોનાના નવા કેસમાં સતત મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. હવે નવા કેસની સંખ્યા દોઢ લાખની નજીક પહોંચી ગઈ છે. ગઈકાલે દેશમાં જાહેર થયેલા નવા આંકડા પ્રમાણે ૧.૭૩ લાખ કેસ નોંધાયા હતા અને ૩૬૧૭ દર્દીઓના મોત થયા હતા જેની સામે આજે આંકડો ઘટ્યો છે. આજે દેશમાં કોરોનાના નવા ૧.૬૫ લાખ કેસ નોંધાયા છે અને ૩,૪૦૦થી વધુ દર્દીઓના મોત થઈ ગયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૧,૬૫,૫૫૩ નવા કેસ નોંધાયા છે, જ્યારે ૨૪ કલાકમાં ૩,૪૬૦ દર્દીઓના જીવ ગયા છે. કોરોનાના કેસના ઘટાડા સામે સાજા થતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોવાથી એક્ટિવ કેસ ૨૦ લાખની નજીક પહોંચી ગયા છે.
ભારતમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના સાજા થયેલા દર્દીઓ અને નવા કેસ વચ્ચે ૧ લાખથી વધુનું અંતર રહ્યું છે. શનિવારે વધુ ૨,૭૬,૩૦૯ દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે. આ સાથે દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ૨૧,૧૪,૫૦૮ પર પહોંચી ગયો છે. ભારતનો રિકવરી રેટ વધીને ૯૧.૨૫% થઈ ગયો છે. ભારતમાં વધુ ૧.૬૫ લાખ કેસ નોંધાતા કુલ કેસનો આંકડો ૨,૭૮,૯૪,૮૦૦ થઈ ગયો છે, આ સાથે વધુ ૨,૭૬,૩૦૯ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે જેની સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૨,૫૪,૫૪,૩૨૦ થઈ ગઈ છે. જ્યારે કુલ કોરોનાથી થયેલા મોતનો આંકડો ૩,૨૫,૯૭૨ પર પહોંચી ગયો છે. આઇસીએમઆર મુજબ દેશમાં કોરોનાના કુલ ૩૪,૩૧,૮૩,૭૪૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી પાછલા ૨૪ કલાકમાં ૨૦,૬૩,૮૩૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ૮૩૨ દર્દીના મોત થયા હતા, કર્ણાટકમાં ૪૯૨, તમિલનાડુમાં ૪૮૬, કેરળમાં ૧૯૮, ઉત્તર પ્રદેશમાં ૧૫૫, પશ્ચિમ બંગાળમાં ૧૪૮, પંજાબમાં ૧૨૫, દિલ્હીમાં ૧૨૨ અને આંધ્ર પ્રદેશમાં ૧૦૪ દર્દીના મોત થયા છે.