રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. દરરોજ નવા આવતા પોઝિટિવ કેસ કરતા સાજા થનારા લોકોની સંખ્યા વધી રહી છે. રાજ્યની રૂપાણી સરકારે સવારે ૯થી ૩ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા માટેની છૂટછાટ આપતા લોકોમાં ફરી એકવખત મોટી બેદરકારી જોવા મળી છે. સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું નથી. જાણે કોરોના ચાલ્યો ગયો હોય એવું વાતાવરણ મહાનગર અમદાવાદની માર્કેટમાં જોવા મળ્યું છે. અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં જાણે સ્થિતિ સામાન્ય થઈ ગઈ હોય એવું ચિત્ર જોવા મળ્યું હતું. રવિવારે સવારે લોકો ખરીદી કરવા માટે આ વિસ્તારમાં આવ્યા હતા. જ્યાં ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું ન હતું. મોટાભાગના લોકોએ માસ્ક પહેર્યા હતા. પણ એ માસ્ક નાક અને મોઢાની નીચે હતા. વૃદ્ધો અને યુવાનો તો ઠીક બાળકો પણ આ માર્કેટમાં જોવા મળ્યા હતા. એક તરફ ત્રીજી લહેરની વાત થઈ રહી છે. જે બાળકો માટે જોખમી છે. તેમ છતાં કેટલાક વાલીઓ પોતાના બાળકોને સાથે લઈને આ માર્કેટમાં આવ્યા હતા. એક તરફ તંત્ર કંઈ કરતું નથી એવા બળાપા કાઢવામાં આવે છે. બીજી તરફ લોકો જવાબદારી સમજ્યા વગર બેદરકાર થઈ રહ્યા છે. આવી બેદરકારી ફરી કોરોનાના કેસમાં વધારો કરી શકે છે. માર્કેટમાં ભેગી થયેલી ભીડને કારણે ફરી કોઈ વિસ્તારમાંથી કેસ વધવાનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે. કોરોનાની પોસ્ટ ઈફેક્ટ તરીકે ફુગથી જડબા, તાળવાં અને દાંત કાઢવા પડે છે એવી જાણ હોવા છતાં કેટલાક લોકો સમજવા માટે તૈયાર નથી.
આ વાતનો પુરાવો રવિવારે લાલ દરવાજા વિસ્તારમાં જોવા મળ્યો હતો. માસ્ક પહેરવામાં પણ અમુક લોકો બેદરકાર રહ્યા છે. જ્યાં સુધી નાગરિકો પોતે પોતાની જાતે નહીં સમજે ત્યાં સુધી તીવ્ર લહેરને અટકાવવી અશક્ય દેખાઈ રહી છે. તંત્ર તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે, છૂટ મળી એનો અર્થ ગાઈડલાઈન્સનો ભંગ કરવો એવું નથી. બીજી તરફ પોળમાં આવેલી લગ્ન સંબંધી ચીજવસ્તુઓની માર્કેટમાં પાંખી હાજરી જોવા મળી હતી. લાંબા સમય પછી ખુલેલી દુકાનમાં નહીવત કહી શકાય એવી ઘરકીથી વેપારીઓ નવરા બેઠા હતા. લગ્નની સીઝનમાં પોળમાં આવેલી માર્કેટ સુમસાન હતી. રતનપોળ સહિતની માર્કેટમાં કોઈ ગ્રાહકો જોવા મળ્યા ન હતા.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ