ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં શામેલ ન થવા અંગે ચાલી રહેલા મીડિયા અહેવાલોને ફગાવી દીધા છે. હકીકતમાં, ભુવનેશ્વર હવે ટેસ્ટ ક્રિકેટ રમવા માગતો નથી. આ અહેવાલોને નકારી કાઢતા ઝડપી બોલરે લખ્યું છે કે, આવી અફવાઓ ફેલાવવી ન જોઇએ. હું ત્રણેય ફોર્મેટમાં રમવા માગુ છું અને સિલેક્શન માટે ઉપલબ્ધ છું. ૩૧ વર્ષીય ભુવનેશ્વરે લખ્યું, મારા વિશે મીડિયામાં કેટલાક સમાચાર આવ્યા છે કે હું ટેસ્ટ ક્રિકેટ રમવા માગતો નથી. હું તમને કહેવા માંગુ છું કે મેં હંમેશાં ત્રણેય ફોર્મેટ્સ માટે પોતાને તૈયાર કર્યો છે. પછી ભલેને મારુ સિલેક્શન થાય કે નહીં. હું ભવિષ્યમાં આમ જ કરવાનું ચાલુ રાખીશ. હું સૂચન કરું છું કે તમે સૂત્રોના આધારે તમારા મનની વાતો ન લખો.
ભુવનેશ્વરને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ઇંગ્લેન્ડ સામેની ૫ ટેસ્ટ મેચની શ્રેણી માટે ભારતની ૨૦ સભ્યોની ટીમમાં શામેલ કરવામાં આવ્યો ન હતો. ત્યારબાદ, કેટલાક મીડિયા અહેવાલોએ દાવો કર્યો હતો કે ભુવનેશ્વર હવે ટેસ્ટ ફોર્મેટ દેવા માંગે છે. તેના બદલે, તે વનડે અને ટી-૨૦માં ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. વળી, અહેવાલમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઈજાથી પરત આવ્યા બાદ તે લાંબા સ્પેલ નાખવાનું ટાળી રહ્યો છે. ભુવનેશ્વર ભારત માટે અત્યાર સુધીમાં ૨૧ ટેસ્ટ રમ્યો છે. આ દરમિયાન તેણે ૩૭ ઇનિંગ્સમાં ૬૩ વિકેટ ઝડપી છે. તેની સરેરાશ ૨૬.૯૦ છે. ૪ ઇનિંગ્સમાં ૫ વિકેટ લેવાનો રેકોર્ડ પણ તેના નામે છે. તેણે છેલ્લી ટેસ્ટ જાન્યુઆરી ૨૦૧૮માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં તે ઘણી વખત ઈજાગ્રસ્ત થયો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આઈપીએલ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. તે આ વર્ષે માર્ચમાં ઈંગ્લેન્ડ સામે રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફર્યો હતો.