ટીમ ઈન્ડિયાએ છેલ્લા કેટલાક સમયમાં દરેક ફોર્મેટમાં તેની ધાક દર્શાવી છે અને તે દેશમાં હોય કે, વિદેશમાં, તેણે ક્રિકેટની શ્રેષ્ઠ ગેમ સિરીઝ અને ચાહકોનું દિલ બંને જીત્યું છે. પરંતુ હવે ટીમ ઈન્ડિયાના ચાહકો કંઈક એવું જોવા જઈ રહ્યા છે, જે કદાચ પહેલા ક્યારેય ન બન્યું હોય.
જુલાઈમાં ટીમ ઇન્ડિયા શ્રીલંકાનો પ્રવાસ કરવા જઇ રહી છે જ્યાં તેઓ વનડે અને ટી ૨૦ શ્રેણી રમશે. રસપ્રદ વાત એ છે કે, આ ટૂર પર રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ નહીં રમે કારણ કે, આ સમયે તેઓ ઇંગ્લેન્ડ પ્રવાસ પર હશે. તેનો અર્થ એ છે કે, શ્રીલંકામાં ટીમ ઈન્ડિયામાં યુવા ખેલાડીઓ હશે. ઇએસપીએન ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર ત્રણ વનડે અને ત્રણ ટી -૨૦ મેચ રમશે. શ્રીલંકાના ક્રિકેટ બોર્ડ દ્વારા બીસીસીઆઈને મોકલવામાં આવેલા શેડ્યૂલ મુજબ, આ પ્રવાસ ૧૩ જુલાઈથી પ્રથમ વનડે મેચ રમવામાં આવશે. વનડે મેચ ૧૩, ૧૬ અને ૧૯ જુલાઈએ યોજાશે.
વનડે સિરીઝ બાદ ટીમ ઈન્ડિયા ત્રણ મેચની ટી ૨૦ સિરીઝ રમશે. જેની પહેલી મેચ ૨૨ જુલાઈએ, બીજી મેચ ૨૪ જુલાઇ અને ત્રીજી મેચ ૨૭ જુલાઈએ રમાશે. આ મેચો ક્યા મેદાન થશે તે અંગેનો નિર્ણય લેવામાં આવ્યો નથી. ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ ભારતીય ટીમ ૫ જુલાઈએ શ્રીલંકા પહોંચશે અને ૨૮ જુલાઈએ ભારત પરત આવશે. સિરીઝ પહેલા ભારતીય ટીમે એક અઠવાડિયા સુધી ક્વોરેન્ટાઇન રહેવું પડશે.ટીમ ઈન્ડિયાના ક્વોરેન્ટાઇન પણ બે તબક્કાના રહેશે. જેમાં ખેલાડીઓએ પ્રથમ ત્રણ દિવસમાં એક રૂમમાં રોકાવું પડશે અને આગામી ચાર દિવસ આખી ટીમ સાથે મળીને ટ્રેનિંગ કરવાની રહેશે. બધા ખેલાડીઓ બાયો બબલમાં હશે.ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓ ઇંગ્લેન્ડ પ્રવાસ પર રહેશે, તેથી યુવા ખેલાડીઓને શ્રીલંકા પ્રવાસ પર ચાન્સ આપવામાં આવશે. આ ટીમમાં યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન, પૃથ્વી શો, દિપક ચહર, રાહુલ ચહર, જયદેવ ઉનડકટ, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી અને રાહુલ તેવતીયા જેવા ખેલાડીઓનો સમાવેશ થઈ શકે છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ