જામનગરમાં એક મકાનમાંથી એસઓજીએ શક પડતા એલ્યુમિનિયમ તથા કોપર વાયરના એક હજાર કિલોના જથ્થાને કબજે લીધો છે. મોબાઈલ ટાવરમાં વપરાતા આ કેબલના જથ્થા સાથે બે શખ્સની અટકાયત પણ કરવામાં આવી છે. જામનગરના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં સ્ટાફના એએસઆઈ હિતેશ ચાવડા તથા રવિ બુજડને બાતમી મળી હતી કે, એક શખ્સના મકાનમાં કોપર તથા એલ્યુમિનીયમના કેબલનો મોટો જથ્થો સંગ્રહ કરીને રાખવામાં આવ્યો છે. આ કેબલનો ઉપયોગ મોબાઈલ ટાવરમાં કરવામાં આવે છે. ઉપરોકત બાતમીથી પીઆઈ એસ.એસ.નિનામાને વાકેફ કરાયા પછી પી.એસ.આઈ. વી.કે. ગઢવી, પીએસઆઈ આર.બી. વિંછીના વડપણ હેઠળ હરસિદ્ધિ માતાના મંદિર પાસે આવેલી કાના ડીલક્ષ પાન નામની દુકાન બાજુમાં પવન મહાજનના મકાનમાં તલાશી લેવાતા ત્યાંથી એલ્યુમિનિયમ તથા કાળા રંગના કોપર વાયરનો ૭૦ હજારની કિંમતનો ૧ હજાર કિલોનો જથ્થો મળી આવ્યો હતો. જથ્થાનું બિલ ન હોય, એસઓજીએ તે જથ્થા સાથે ગોકુલનગર નજીકના અયોધ્યાનગરવાળા જગદીશ રાયદેભાઈ રાવલીયા ઉર્ફે જીગર આહિર તથા શાંતિનગરવાળા ધર્મદિપસિંહ નીરુભા જેઠવાની સીઆરપીસી ૪૧(૧)(ડી) હેઠળ અટકાયત કરી છે.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)