ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે તૈયારી હાથ ધરી દીધી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહે કહ્યું છે કે, ગુજરાતકોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ૫૭ ધારાસભ્યોને રિપીટ કરવામાં આવનાર છે. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના હાઈકમાન્ડ સાથે ચર્ચા કરવામાં આવી છે. હાઈકમાન્ડ સાથેની મીટીગમાં ચૂંટણીમાં ૨-૩ બહુમતી મેળવવા ચર્ચા કરાઈ હતી. આ મીટીંગમાં જ ૫૭ ધારાસભ્યોને રિપીટ કરવાનું નક્કી થયું હતું. હાઈકમાન્ડે કોંગ્રેસના વર્તમાન ૫૭ ધારાસભ્યોની ટિકિટ પર મહોર મારી દીધી છે. ત્યારે આગામી ટૂંક સમયમાં જ કોંગ્રેસ ચૂંટણીલક્ષી કામગીરી વધુ તેજ બનાવશે. આગામી અઠવાડિયામાં જ કોંગ્રેસના પ્રદેશ હોદ્દોદારોની પણ જાહેરાત કરવામાં આવશે અને હાઈકમાન્ડ સાથેની ચર્ચા અને નિર્દેશો પ્રમાણે દરેકની ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવશે. સાથે જ ૯મી જુનના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત પણ અમદાવાદ આવી ચૂંટણીલક્ષી વ્યુહાત્મક મીટિંગ કરશે. ધણા લાંબા સમયથી ગુજરાત કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલાની નારાજગીએ રાજકીય ચર્ચા ઉભી કરી હતી. શંકરસિંહ વાઘેલા ધણીવાર કહી ચુક્યાં છે કે, હું ભાજપમાં જવાનો નથી, પરંતુ તાજેતરમાં જ દિલ્હી ખાતે કોંગ્રેસના હાઈકમાન્ડ સાથે થયેલી મિટીંગ બાદ બાપુએ કહ્યું હતું કે, આજે તો હું કોંગ્રેસમાં જ છું. બાપુના આ નિવેદનને રાજકીય ગણતા ચર્ચા જાગી હતી કે, કોંગ્રેસ હાઈકમાન્ડ અને બાપુ વચ્ચે નારાજગીનો હજુ સુધી અંત આવ્યો નથી.
આગળની પોસ્ટ