દેશભરમાં આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓ માટે વધુ એક મોટી ખુશખબર છે. હવે તેઓ કેન્સર જેવા જટીલ રોગની સારવાર માટે દેશના મોટા ગજાના કેન્સર વિશેષજ્ઞોની સલાહ લઈ શકશે. ખાસ વાત તો એ છે કે આ માટે તેમણે ક્યાં જવાની કે કેન્સર નિષ્ણાંત જે શહેરમાં હોય તે જગ્યાએ મુલાકાત લેવાની પણ જરુર નહીં પડે. આ દર્દીઓ દેશભરના કેન્સર નિષ્ણાંતો સાથે ડિજિટલ નેટવર્ક સાથે જોડાઈ શકશે.
નેશનલ હેલ્થ ઓથોરિટી પાર્ટનરશિપ માટે નેશનલ કેન્સર ગ્રિડ સાથે આ અંગે વાતચીત કરી રહ્યું છે, જે મુંબઈમાં આવેલ ટાટા મેમોરિયલ હોસ્પિટલના માધ્યમથી વર્ચ્યુઅલ ટ્યૂમર બોર્ડ સંચાલિત કરે છે. આ બોર્ડ ગ્રિડના ડિજિટલ માધ્યમ દ્વારા જટીલ કેન્સરના કેસોનું નિવારણ લાવે છે. આ રીતે આયુષ્માન યોજનાના લાભાર્થીઓને દેશની સર્વોત્તમ આરોગ્ય સુવિધા મળી રહેશે.
અધિકારીઓએ કહ્યું કે એકવાર આ પ્રસ્તાવને મંજૂરી મળી ગયા પછી ઘણી હોસ્પિટલમાં એકથી વધુ પ્રકારની સારવાર ઉપલબ્ધ ન હોવાની સમસ્યામાં પણ રાહત મળશે. કેન્સર નિષ્ણાંતો મુજબ ભારતમાં કેન્સરના ચોથાભાગના કિસ્સા જટીલ હોય છે. આયુષ્માન ભારતના ડે. ર્ષ્ઠી દિનેશ અરોડાએ કહ્યું કે, ‘અમે ૨-૩ સપ્તાહની અંદર નેશનલ કેન્સર ગ્રિડ સાથે સમજુતી થવાની આશા સેવી રહ્યા છીએ. આ પગલાથી ન કે ફક્ત છેવાડાના લોકોને કેન્સરની સારવાર મળશે પરંતુ દેશમાં બધા જ પ્રકારના કેન્સરની સારવાર માટે એક સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ અને ગાઇડલાઇન્સ બનાવવામાં પણ મદદ મળશે.