ઉત્તર પ્રદેશમાં મુશ્કેલ ચૂંટણી જંગનો સામનો કરી રહેલી ભાજપ એક તૃતિયાંશ લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવારો બદલવાની તૈયારીમાં છે. ભાજપની નેતાગીરી ઉમેરવારોની પસંદગી વખતે જીતવાની ક્ષમતા, પરફોર્મન્સ અને છબીના પાસાઓને ધ્યાનમાં રાખીને આગળ વધી રહી છે. પાર્ટીના એક સૂત્રના જણાવ્યા પ્રમાણે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ કોઈ પણ નામ એવું નથી ઈચ્છતા જે નબળું હોય. સૂત્રના જણાવ્યા પ્રમાણે આ વખતે ઉત્તર પ્રદેશમાં ભાજપ તેના ૨૫ ઉમેદવારો બદલી શકે છે.
પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીનિયર નેતાઓ વચ્ચે દરેક બેઠક બેઠક પર ઉમેદવારોને લઈને ઉંડાણપૂર્વકની ચર્ચા ચાલી રહી છે. એટલું જ નહીં ઉમેદવારોની પસંદગીમાં અનેક રાઉન્ડની સ્ક્રૂટની કરવામાં આવી રહી છે અને સર્વે, નમો એપ પર મળેલા ફિડબેક વગેરેને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે જ સાંસદોના પર્ફોર્મન્સને લઈને લોકો પાસે ફીડબેક મંગાવ્યા હતાં અને હવે ઉમેદવારોની પસંદગીમાં તે ઘણો મહત્વનો ભાગ ભજવી રહ્યાં છે.
પાર્ટીને લાગે છે કે, જે ઉમેદવારોના ફિડબેકને લઈને પત્તા કાપવામાં આવી રહ્યાં છે, તેનાથી તેમને વધારે વાંધો નહીં પડે કારણ કે લોકોનો મૂડ જ તેમના પક્ષમાં નથી. આ લોકોની ટિકીટ કાપવાથી પાર્ટીને અંદરથી વિરોધનો સામનો કરવાની શક્યતા પણ ઓછી છે. અત્યાર સુધીમાં પાર્ટીએ રાજ્યમાં ૭૮માંથી ૩૨ બેઠકો પર જ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. બે બેઠકો સહયોગી પાર્ટીએ અપના દલને આપી છે. ગઈ કાલે શનિવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ઉત્તર પ્રદેશના ઉમેદવારો પર સવિસ્તાર ચર્ચા કરી. સોમવારે પણ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાવવાની છે, તેવામાં કહેવાઈ રહ્યું છે કે, ટૂંક સમયમાં જ પાર્ટીના તમામ ઉમેદવારોની જાહેરાત કરી દેશે.
ભાજપે ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી જાહેર કરવામાં આવેલી અત્યાર સુધીની યાદીમાં વર્તમાન ૬ સાંસદોની ટિકીટ કાપવામાં આવી છે. જેમાં શાહજહાંપુરથી સાંસદ અને કેન્દ્રીય મંત્રી કૃષ્ણા રાજનું નામ પણ શામેલ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અનેક અહેવાલમાં પૂર્વી ઉત્તર પ્રદેશમાં અનેક સાંસદોના પરફોર્મન્સ નબળા હોવાની વાત પણ સામે આવી છે. તેવામાં પાર્ટી કોઈ સ્થાનીક એંટી-ઈન્કબેંસીથી બચવા ટિકીટ કાપવા પર વિચાર કરી રહી છે.